વડોદરા,જૂના પાદરા રોડ પર રોડ ક્રોસ કરતાં વૃદ્ધાને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.
જૂના પાદરા રોડ દિવાળીપુરા જયનિધિ ટાઉનશિપમાં રહેતાં ૮૫ વર્ષના સરયુબેન જેઠાભાઇ પટેલ ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી વાસણારોડ નજીક આવેલા સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા ગયાં હતાં. ત્યાંથી દર્શન કરીને તેઓ ચાલતા ઘરે આવતાં હતાં. રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનચાલકે તેઓને ટક્કર મારતા કમર, હાથ અને ગાલ પર ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છ. સરયુબેને લગ્ન કર્યા નહીં હોવાથી તેઓ એકલાં જ રહેતાં હતાં. બનાવ અંગે તેમના સંબંધીએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ શરૃ કરવા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૃ કરી છે.


