જામનગરમાં અંધશ્રમ ફાટક નજીક ટ્રેનની ઠોકરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બુઝુર્ગનું સારવારમાં અપમૃત્યુ
Jamnagar : જામનગરમાં અંધાશ્રમ રેલવે ફાટક નજીક ગત 27મી તારીખે 60 વર્ષના એક બુઝુર્ગ ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા, અને ઈજાગ્રસ્ત બન્યા હતા. તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 50 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વિજયભાઈ માધવભાઈ નાથાણી નામના 60 વર્ષના બુઝુર્ગ ગત 27મી તારીખે અંધાશ્રમ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા.
તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં ગઈકાલે સાંજે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ભાવિન વિજયભાઈ નાથાણીએ પોલીસને જાણ કરતાં સીટી સી.ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.બી.સદાદિયા જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.