જામનગર પાસે 2 કાર અથડાતા બુઝુર્ગનું મોત, બાળક સહિત 4 ઘાયલ
ફુલ સ્પીડે આવતી કાર ડિવાઇડર કૂદી અન્ય કાર સાથે અથડાઇ : મોરકંડા ગામનો પરિવાર પ્રસંગમાં હાજરી આપવા જીવાપર જઇ રહ્યો હતો, ત્યારે અકસ્માત નડયો
જામનગર, : જામનગર નજીક સમર્પણ બાયપાસ સર્કલ પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી. જેમાં એક કાર ફૂલસ્પીડે આવીને ડિવાઇડર કુદી સામેથી આવી રહેલી મોરકંડા ગામના પરિવારની કાર સાથે અથડાતાં કારમાં બેઠેલા એક બુઝુર્ગનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એક બાળક અને મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા થઈ છે.
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતા પ્રભુભાઈ મેઘજીભાઈ ચૌહાણ અને તેઓના પરિવારના અન્ય પાંચ સભ્યો પિતા મેઘજીભાઈ માવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૫), તેમનો પુત્ર તેમજ બે પુત્ર વધુ અને એક છ માસનો બાળક વગેરે કારમાં બેસીને એક પ્રસંગમાં હાજરી આપવા માટે જીવાપર ગામે જઈ રહ્યા હતા.જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલી મોરકંડાના પરિવારની કાર સાથે ધડાકાભેદ અથડાઈ પડી હતી.
જે અકસ્માતમાં મેઘજીભાઈ ચૌહાણ (ઉ.વ. 85) નું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું, જયારે કારમાં બેઠેલા દમયંતીબેન હિતેશભાઈ ચૌહાણ, વનીતાબેન જગદીશભાઈ ચૌહાણ અને નૈતિક નામનો છ મહિનાનો બાળક ઇજાગ્રસ્ત બન્યા હતા. અને તમામને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક મેઘજીભાઈના પુત્ર પ્રભુલાલભાઈ મેઘજીભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં પંચકોષી સ્ટાફ બનાવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલે દોડી ગઈ હતી. અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અકસ્માત સર્જનાર કારનો ચાલક અકસ્માત બાદ પોતાની કાર માર્ગ પર રેઢી છોડીને ભાગી છુટયો હોવાથી તેની કાર કબજે કરી લેવાઇ છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે