નંદેસરીની દિપક નાઈટ્રાઈટ કંપનીમાં વૃદ્ધે ગળાફાંસો ખાધો
Vadodara : વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા અને વડોદરા તાલુકાના નંદેસરી ગામની એક કંપનીમાં ફરજ બજાવતા વૃદ્ધે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. તેને કારણે રહસ્યના તાણાવાણા ગુંથાયા હતા.
છાણી ટીપી 13 શાકુંતલ ફ્લેટમાં રહેતા 60 વર્ષના શના ગોવિંદ રાઠોડ ગત સવારે 9:00 વાગ્યે પોતાની વડોદરા તાલુકાના નંદેસરી જીઆઇડીસીમાં આવેલી દિપક નાઈટ્રાઈટ કંપનીમાં ફરજ પર હાજર હતા. બપોરે ભોજન લીધા બાદ બે વાગ્યાથી ચાર વાગ્યા દરમ્યાન તેઓ જીઇબી પેનલના રૂમમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન રૂમની લોખંડની ફ્રેમ સાથે કેબલ બાંધી ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું હતું. તેની જાણ સાથી કર્મચારીને થતા કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. તેઓએ નંદેસરી પોલીસનો સંપર્ક કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણસર શના રાઠોડે અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો. હાલમાં મોતના કારણનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
31મી તારીખે નિવૃત્ત થવાના હતા : પુત્ર
વિવાદમાં વારંવાર અટવાતી દિપક નાઈટ્રાઈટ કંપનીમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરનાર શનાભાઇ રાઠોડના દીકરાએ માહિતી આપી હતી કે તેના પિતા યુનિયન સાથે જોડાયેલા હતા. આગામી 31મી તારીખે નિવૃત્ત થવાના હતા. તેઓ ક્યારે પણ કંપનીની વાતો ઘરમાં શેર કરતા ન હતા. તેથી કયા કારણસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પરંતુ સત્ય સુધી પોલીસ પહોંચે એવી મારી અપેક્ષા છે.