Gujarat

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા

By GS TEAM
26 Aug 20255 mins read
મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર  ઇંડા ફેંક્યા

 વડોદરા,મોડીરાતે  અઢી વાગ્યે માંડવી પાણીગેટ રોડ પર સિટિ  પોલીસ સ્ટેશનની નજીક જ ગણેશજીની આગમન સવારી પર ઇંડાનો મારો અસામાજિક તત્વોએ કરતા રોષ ફેલાયો છે. એક ઇંડું મૂર્તિ પર પડયું હતું. દરમિયાન  પોલીસ દોડી આવતા મૂર્તિને આગળ લઇ ગઇ હતી.  આ અંગે હિન્દુ આગેવાનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

શહેરમાં ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ઠેર - ઠેર શ્રીજીની મૂર્તિઓની શોભાયાત્રા નીકળી રહી છે. માંજલપુર નિર્મળ પાર્ક યુવક મંડળના શ્રીજીની મૂર્તિ લઇને યુવકના ૧૫ જેટલા યુવકો શાંતિ પૂર્વક પાણીગેટ, માંડવી રોડ થઇને માંજલપુર તરફ જતા હતા. રાતે અઢી વાગ્યે યુવકો મૂર્તિ લઇને પાણીગેટ માંડવી રોડ પરથી  પસાર જતા હતા. તે દરમિયાન અસામાજિક તત્વોએ શહેરની શાંતિ ડહોળવાનો  પ્રયાસ કર્યો હતો. અચાનક જ રોડની બંને બાજુથી ઇંડાનો મારો થયો હતો. એક ઇંડું મૂર્તિ પર પડયું હતું. જેના  પગલે મૂર્તિ લઇને જતા યુવકોએ બૂમો પાડતા નજીકમાં જ ૧૦૦ મીટરના અંતરે આવેલા સિટિ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કોર્ડન કરીને મૂર્તિને ઘટના સ્થળેથી આગળ પ્રતાપ નગર હેડક્વાર્ટર લઇ  ગયા હતા.

જ્યારે ઘટના સ્થળ પર જોતજોતામો લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવનાર તત્વોને સબક શીખવાડવા માટે માંગ થઇ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે  દોડી આવ્યા હતા.  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી રાતોરાત કોમ્બિંગ હાથ ધરી ૧૦ શકમંદોને  પકડી લાવી પૂછપરછ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.  જેમાં એક સગીર છે.


કોઇ ગીતો વાગતા નહતા, માત્ર શાંતિપૂર્ણ રીતે મૂર્તિ લઇ જતા હતા

જે બિલ્ડિંગ પરથી ઇંડા ફેંકાયા ત્યાં ટપોટપ લાઇટો બંધ થઇ ગઇ

વડોદરા,

દરવખતે શોભાયાત્રા પર હુમલો થાય ત્યારે તંત્ર ડી.જે. અને ગીતોના કારણે ઉશ્કેરણી થઇ હોવાનો દાવો કરે છે. પરંતુ, ગઇકાલે રાતે માત્ર ૧૦ થી ૧૫ લોકો કોઇ જ ઘોંઘાટ કર્યા વગર શાંતિ પૂર્વક મૂર્તિ લઇ જઇ  રહ્યા હતા. તે સમયે ઇંડા ફેંકીને અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. શોભાયાત્રા પર  જે બિલ્ડિંગો પરથી ઇંડા ફેંકવામાં તે બિલ્ડિંગની લાઇટો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો.


શાંતિ સમિતિની બેઠકો અને ફૂટ પેટ્રોલિંગનું સૂરસૂરિયું

વડોદરા,

જ્યારે  પણ કોઇ તહેવાર આવે ત્યારે  પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૃ કરવામાં આવે છે. તેમજ છેલ્લા બે - ત્રણ દિવસથી પોલીસ દ્વારા રોજ રાતે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. તેમછતાંય આ રીતે શાંત વાતાવરણને ડહોળવામાં આવતા પોલીસના પ્રયાસો નિષ્ફળ ગયા છે. પોલીસ દ્વારા  આવા સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અને કોમી માનસિકતા ધરાવતા તત્વોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો આવા બનાવોને અટકાવી શકાય.


મૂર્તિને તૈયાર કરવામાં વધુ સમય જતા  થતા યુવકો મોડા પડયા

 વડોદરા,

નિર્મળ પાર્ક યુવક મંડળના યુવકોએ ગણેશજીની મૂર્તિ લેવા માટે કિશનવાડી ગયા હતા. તેઓ વહેલા પરત આવવાના હતા. પરંતુ, મૂર્તિકાર દ્વારા કામ બાકી હોઇ તેઓને રાતે મોડું થયું હતું. કિશનવાડીથી તેઓ વાઘોડિયા રોડ થઇને જાય તો પાંચ કિલોમીટર વધી જાય તેવું હતું. જેથી,તેઓ  પાણીગેટ માંડવી રોડ પર થઇની નીકળ્યા હતા. શ્રીજીની સવારીમાં માત્ર ૧૨ થી ૧૫ યુવકો જ સામેલ  હતા. તેમજ કોઇ પોલીસ ફોર્સ પણ તેઓની સાથે નહતો. તેના કારણે અસામાજિક તત્વોને છૂટ્ટો દોર મળ્યો હતો.



વર્ષો  પછી ગણેશોત્સવમાં કોમી શાંતિ ડહોળાવાનો પ્રયાસ

 વડોદરા,

છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે.વિસર્જન યાત્રામાં પણ શાંતિ જળવાઇ રહે છે. તેમજ કેટલાક સ્થળોએ કોમી એકતાના પણ દ્રશ્યો જોવા મળે છે. તેવા સમયે અચાનક થયેલી આ ઘટનાના કારણે પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ છે.  આ ઘટના પછી ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક અલગ - અલગ ૧૨ ટીમો બનાવી હતી. ઘટના સ્થળની નજીક ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ, બાતમીદારો મારફતે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ મૂર્તિને કોર્ડન કરીને પ્રતાપ નગર હેડ ક્વાર્ટર લઇ ગઇ

એફ.એસ.એલ. પાસે ચકાસણી કરી પુરાવા એકત્રિત કરવા લોકોની માંગ

 વડોદરા,

મૂર્તિ પર ઇંડા ફેંકાતા લોકો રોષે ભરાયા હતા. આ ઘટનાના પડઘા ના  પડે તે માટે પોલીસે તરત કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૂર્તિને સુરક્ષિત રીતે કોર્ડન કરીને પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવી હતી. શરૃઆતમાં મૂર્તિને વિસર્જિત કરવાની વાત  હતી. પરંતુ, લોકોએ મૂર્તિ પર ઇંડા ફેંકાયા હોવાના પુરાવા મેળવવા માટે એફ.એસ.એલ. તપાસની માંગ કરી હતી. તેમજ ઘટના સ્થળ અને કેટલાક યુવકોના કપડા પર પડેલા ઇંડાના પણ નમૂના લઇ એફ.એસ.એલ. તપાસની માંગ કરી હતી.


પોલીસે યુવક મંડળને ૧૦ ફૂટ ઉંચી નવી શ્રીજીની મૂર્તિ આપી

 વડોદરા,

પોલીસ તેમજ અન્ય યુવક મંડળો દ્વારા ગણેશજીની નવી મૂર્તિ તેઓના ખર્ચે નિર્મળ પાર્ક યુવક મંડળને અપાવવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ, મંડળે શરૃઆતમાં ના પાડી દીધી હતી. પરંતુ, ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવતા મંડળે હા પાડી હતી. મંડળના યુવકોને લઇ પોલીસ પોલોગ્રાઉન્ટ પાસે મૂર્તિકાર પાસે ગઇ હતી. ત્યાંથી મંડળના યુવકોએ ૧૦ ફૂટ ઉંચી પ્રતિમા પસંદ કરી હતી. જે મૂર્તિ પોલીસે ભેંટ આપી હતી.


આરોપીઓ ઇરાદા પૂર્વક કાવતરું રચીને આવ્યા હોવાની શંકા

 વડોદરા,

પોલીસે આ ઘટનામાં એક સગીરને પણ ઝડપી પાડયો છે.જ્યારે  અન્ય  બે આરોપીઓ સૂફિયાન ઉર્ફે ગામા સલીમભાઇ મનસુરી  અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી ( બંને રહે. માસૂમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી) ની ધરપકડ કરવામાં આવી છે.  આરોપીઓ એવો બચાવ કરી રહ્યા છે કે, ટીખળ અને મજાક મસ્તી કરવા માટે આ કૃત્ય કર્યુ હતું.જે વાત ગળે ઉતરતી નથી.આરોપીઓ જે વિસ્તારમાં રહે છે. ત્યાંથી ઘટના સ્થળ થોડા અંતરે છે. જેથી, આરોપીઓ ગુનાઇત કાવતરું રચી ઇરાદાપૂર્વક  ઇંડા ફેંકવા માટે આવ્યા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


સગીર વયના કિશોરોને આગળ રાખી ઇંડા ફેંક્યા

વડોદરા,

મોડીરાતે ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. તે અંગે સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, આ ઘટનામાં ૭ થી ૮ સગીર  પણ સામેલ હતા. તેમજ મોટા બે થી ત્રણ હતા. લોકોની માંગ છે કે, આ રીતે મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ. જેથી, ભવિષ્યમાં  કોઇ આવી હિંમત કરે નહીં.