જામનગર નજીક કુતરૂં આડું ઉતરતાં ઇકો કારની ગુલાંટ : કારચાલકનું અંતરિયાળ મૃત્યુ
Jamnagar Accident : જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે એક ઇકો કારની આડે કૂતરું ઉતરતાં અકસ્માતે ઇકો કાર પલટી મારી ગઈ હતી.જે અકસ્માતમાં કારના ચાલકનું ગંભીર ઇજા થવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતો અને ઇકો કાર ચલાવતો સંજય હરિભાઈ મકવાણા નામનો 35 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાની જી.જે.10 ઇ.સી. 8687 નંબરની ઇકો કાર લઈને પોતાના ઘેરથી અલિયા ગામના પાટીયા પાસે જવા માટે નીકળ્યો હતો. જે દરમિયાન રસ્તામાં એક કૂતરું આડું ઉતરતાં ઇકો કાર પલટી મારી ગઈ હતી, અને પોતે ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત બન્યો હતો.
આ અકસ્માતના બનાવ બાદ કેટલાક લોકો એકત્ર થઈ ગયા હતા, અને 108 ની ટુકડીને જાણ કરી હતી, જેથી 108 ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત સંજય મકવાણાને ચેક કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે ચંદુભાઈ બાવાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ લાંબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.