અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earthquake In Amreli: અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આ આંચકાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
2.5ની તીવ્રતા અને કેન્દ્રબિંદુ
ગાંધીનગર સિસમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર નોંધાયું છે. સાવરકુંડલાના મિતિયાળા ઉપરાંત સાકરપરા, ધજડી, ભાડ, ખાંભા અને ઈંગોરાળા ગામોમાં પણ ધરતી ધ્રૂજી હોવાના અહેવાલો છે.
મિતિયાળા વિસ્તાર ‘ભૂકંપનું એપી સેન્ટર’ બન્યું
છેલ્લા કેટલાક સમયથી સાવરકુંડલાનો મિતિયાળા વિસ્તાર ભૂકંપના આંચકાઓ માટે સંવેદનશીલ બની રહ્યો છે. માત્ર બે દિવસ પહેલા જ 24 કલાકના ટૂંકા ગાળામાં આ વિસ્તારમાં નાના-મોટા 14 જેટલા આંચકાઓ અનુભવાયા હતા. વારંવાર આવતા આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકો રાત્રિના સમયે ઘરમાં સૂતા પણ ડર અનુભવી રહ્યા છે. ઘણા ઘરોમાં હળવી તિરાડો પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે.








