Get The App

દ્વારકા-ઓખાના દરિયામાં 2.8ની તીવ્રતાનો ધરતીકંપ

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકા-ઓખાના દરિયામાં 2.8ની તીવ્રતાનો ધરતીકંપ 1 - image


ગુજરાતમાં 22 દિવસમાં 6 વાર ધરતી ધ્રૂજી ઉઠી : જમીનમાં માત્ર 1.3 કિમી ઉંડાઈએ ઉદ્ભવ્યો, 5 વર્ષ પહેલા માંગરોળ પાસે દરિયામાં તીવ્ર ભૂકંપ નોંધાયો હતો

રાજકોટ, : હાલ ગતિશીલ ચોમાસાના કારણે દ્વારકા,સોમનાથ સહિત સૌરાષ્ટ્રનો દરિયો ભારે તોફાની બન્યો છે ત્યારે ગઈકાલે સાંજે 6- 31 વાગ્યે ઓખા,દ્વારકા પાસેના અરબી સમુદ્રમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. સામાન્ય રીતે આ દરિયામાં ભૂકંપ જ્વલ્લે જ નોંધાય છે. 

દ્વારકાથી 66  કિ.મી.ના અંતરે પશ્ચિમોત્તર દિશામાં અરબી સમુદ્રમાં 22.623 અક્ષાંસ અને 68.471 રેખાંશ ઉપર આજે આ ભૂકંપ ધરતીની છીછરી સપાટી પર માત્ર 1300 મીટર ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો. આ પહેલા માંગરોળ-ચોરવાડ પાસેના દરિયામાં તા. 9-5-2020ના 4.0ની વધુ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. દ્વારકા,ઓખા પાસેના અરબી સમુદ્રમાં ધરતીના ઉપલા પડમાં ફોલ્ટ્સને કારણે આંચકો આવ્યાનું અનુમાન છે. 

ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના હવામાન વચ્ચે ભૂકંપોનો સિલસિલો પણ જારી રહ્યો છે. ગત તા. 5 જૂનથી આજ તા. 22 સુધીના 17 દિવસમાં 6 ધરતીકંપ નોંધાયો છે જેમાં સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ તા. 8 જૂને સૌરાષ્ટ્રના તલાલા ગીર પંથકમાં 3.5નો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અનેક ફોલ્ટલાઈન ધરાવતો કચ્છ એ ભૂકંપની સૌથી વધુ શક્યતાવાળા ઝોન-4માં અને સૌરાષ્ટ્ર ઝોન-4માં આવે છે. 

Tags :