પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકો AAPમાં જોડાતા ગુજરાત ભાજપમાં ભૂકંપ
Gujarat BJP News : છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકોએ માણાવદરમાં આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાના હસ્તે 'આપ'નો ખેસ પહેરી લેતાં પૂર્વ મંત્રી પોતે પણ આપમાં જોડાવાના હોવાની અટકળો વધુ તેજ બની છે. વિધાનસભાની વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ધારાસભ્યના વિજય પાછળ પણ ચાવડાની મહત્વની ભૂમિકા હોવાની ચર્ચાઓ ચાલી હતી.
માણાવદરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં પૂર્વ મંત્રીના ખાસ સમર્થક ગણાતા અને જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય રિનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા, તાલુકા પંચાયતના પૂર્વ હોદ્દેદાર, સરપંચો સહિતના કેટલાક આગેવાનો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં જિલ્લાનાં રાજકારણમાં નવા- જૂનીના એંધાણ શરૂ થઈ ગયા છે. પૂર્વ મંત્રીના ખાસ સમર્થકો આપમાં જોડાતા હવે આગામી સમયમાં ચાવડા પોતે પણ આપમાં જોડાય તેવી ધારણાએ જોર પકડયું હોવાનું રાજકીય તજજ્ઞાો માની રહ્યા છે.
હાલમાં પૂર્વ મંત્રી તેમની જ સરકારમાં બેરોજગારો મુદ્દે પણ કાર્યક્રમ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જવાહર ચાવડાએ જિલ્લા ભાજપનું કાર્યાલય ગેરકાયદેસર હોવાનું તથા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલની બિલ્ડીંગ ક્રિષ્ના આર્કેડ ગેરકાયદે હોવાની ફરિયાદો કરી હતી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તેમની હાર પાછળ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ જવાબદાર હોવાની રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી ચાવડા સતત ભાજપથી નારાજ છે અને ભાજપની કોઈપણ મીટિંગ કે કાર્યક્રમમાં જતા નથી. આ અંગે જવાહર ચાવડાનો સંપર્ક સાધવા પ્રયત્ન કરાયા હતા પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહી.