સરખેજના શકરી તળાવમાં બોટ ઉંધી વળીઃ રમત-રમતમાં ૩ યુવકના મોત
ગાયત્રીનગર નાકે બસ સ્ટેન્ડ પાસે તળાવમાં કરૃણ ઘટના
બોટમાંથી ઉતરી ગયેલાં એક યુવાનનો બચાવ થયો
અમદાવાદ, મંગળવાર
સરખેજ ગામના શકરી તળાવમાં આજે બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૃણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તળાવમાંથી લીલ કાઢવાની કામગીરી માટે રખાયેલી બોટમાં બેસીને તળાવમાં રમતરમતમાં જ ત્રણ યુવકો ડૂબી ગયાં હતાં. પરિવારજનોમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લીલ કાઢવાની બોટમાં રમત રમવા જતાં અચાનક બોટ ઊંધી વળી ગઇઃ બોટમાંથી ઉતરી ગયેલાં એક યુવાનનો બચાવ થયો
સરખેજ વિસ્તારમા ગાયત્રીના નાકે બસ સ્ટેન્ડ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત શકરી તળાવમાં લીલ કાઢવાની બોટ કિનારા ઉપર પડી હતી. સરખેજના ગાયત્રીનગરમાંરહેતા ચાર યુવકો તળાવ પાસે રમતા રમતા બોટમાં બેસી ગયા હતા. જો કે બોટમાં બેસતાની સાથે એક યુવક ડરના કારણે ઉતરી ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો તળાવમાં ગયા હતા. તળાવના પાણીમાં જતાં જ યુવકો રમતે ચડયા હતા અને અચાનક જ બોટ પાણીમાં ઊંધી વળી ગઈ હતી. બોટ પાણીમાં ઉંધી વળતાં યુવકો ડૂબવા લાગ્યાનું જોનારાંઓએ બુમાબુમ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયરને જાણ કરતાં ફાયરના જવાનો આવ્યા હતા અને તરવૈયાઓએ તળાવમાં જઇને પાણીમાં ડૂબેલા યુવકોને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતું તળાવમાં ડૂબતાં જ પી ગયા હોવાથી ત્રણેય યુવકના મોત નીપજ્યા હતા.
આ કરુણ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, તો બીજીબાજુ, પરિવારજનોમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. સરખેજ પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.