Gujarat

વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય ખફા

By GS TEAM
25 Sep 20252 mins read
TukuTouch Logo
દેશની સર્વોચ્ચ અદાલતમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સ્થાને શુદ્ધ મૂર્તિ સ્થાપિત કરવાની માગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કરેલી ટિપ્પણ કે 'ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે,' સામે દ્વારકાના શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ પ્રકારની ટિપ્પણીને વખોડી કાઢતા સુપ્રીમ કોર્ટના પક્ષપાતી વ્યવહાર સામે આકરા પ્રત્યાઘાતો આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય ખફા

Broken Idol of Lord Vishnu : દેશની સર્વોચ્ચ અદાલતમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સ્થાને શુદ્ધ મૂર્તિ સ્થાપિત કરવાની માગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કરેલી ટિપ્પણ કે 'ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે,' સામે દ્વારકાના શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ પ્રકારની ટિપ્પણીને વખોડી કાઢતા સુપ્રીમ કોર્ટના પક્ષપાતી વ્યવહાર સામે આકરા પ્રત્યાઘાતો આપ્યા છે.

શંકરાચાર્યજીએ પોતાના નિવેદનમાં ન્યાયપાલિકાને લોકતંત્રનો સ્તંભ ગણાવી, પરંતુ સાથે જ જણાવ્યું કે ન્યાયાધીશોના નિર્ણયો સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે અયોધ્યા રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'જો ન્યાયાધીશનું કહેવું છે કે ભગવાન વિષ્ણુ પોતાની મૂર્તિ સ્વયં ઠીક કરે, તો પછી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો નિર્ણય પણ અદાલતે કેમ આપ્યો? તેમણે તો એમ કહેવું જોઈતું હતું કે ભગવાન શ્રીરામ મંદિર બનાવે!' તેમણે ઉમેર્યું કે અમારી દ્રષ્ટિએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીરામની કૃપાથી જ શક્ય બન્યું છે.

હિન્દુઓ પ્રત્યેના અન્યાયનો સવાલ

જયારે પુરાતત્વ વિભાગે ખંડિત મૂર્તિના સ્થાને નવી મૂર્તિ સ્થાપવાની વાત સ્વીકારી નહોતી, ત્યારે શ્રદ્ધાળુ ભાવિકે ન્યાય માટે અદાલતનો આશરો લીધો હતો. પરંતુ, અદાલતે આ મુદ્દે ઉપહાસ કરીને ન્યાય માગવા આવનાર સાથે અન્યાય કર્યો છે. શંકરાચાર્યજીએ આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો કે, 'આ પ્રકારનો અન્યાય સનાતન હિંદુઓ પ્રત્યે ક્યાં સુધી ચાલતો રહેશે? જ્યાં સુધી હિંદુ ધર્માવલંબીઓ પોતાના ધર્મ અને હિંદુત્વ માટે સંગઠિત નહીં થાય, ત્યાં સુધી શું તેમને અપમાન સહન કરવાનું રહેશે?'

તેમણે સ્વધર્મપાલન માટે સનાતન ધર્મના લોકોને સંગઠિત થવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે આ પ્રકારના અપમાન અને અન્યાયને અટકાવવા માટે હિન્દુ રાષ્ટ્રની આવશ્યકતા અનિવાર્ય છે. આ નિવેદનથી સમગ્ર સનાતન ધર્મ સમાજમાં ન્યાયપાલિકાના વ્યવહાર સામે ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.