Get The App

વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન

નિયમિત પાણીનો છંટકાવ કરવાની મ્યુનિ. કમિશ્નરની સૂચના છતાં કોન્ટ્રાક્ટરો બેફિકર

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન 1 - image

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ ચારે તરફ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતાં સાઈટો ખાતેથી સતત ઉડતી ધૂળથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

શહેરના ગાંધીનગર ગૃહ, કારેલીબાગ, પ્રતાપનગર, સહિતના અનેક વિસ્તારોમાં પાણીની લાઈન, ડ્રેનેજ તથા વરસાદી કાંસ ની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સરદાર એસ્ટેટ, સમા, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં નવા બ્રિજોના બાંધકામની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

જો કે આ વિકાસ કાર્યો વચ્ચે આસપાસના વિસ્તારોમાં ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે. બાંધકામ સાઈટો પર માટી અને મટીરિયલ ના ઢગલા હોવા છતાં નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. જેના કારણે રસ્તાઓ પર વાહનો પસાર થતાં ધૂળના ગોટેગોટા ઊડતા જોવા મળી રહ્યા છે અને આસપાસ રહેતા નાગરિકો તથા વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે.

મ્યુનિ. કમિશનર દ્વારા તમામ બાંધકામ સાઈટો પર ધૂળ નિયંત્રણ માટે પાણીનો નિયમિત છંટકાવ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. છતાંય કેટલાક કોન્ટ્રાક્ટરો આ સૂચનાને અવગણી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું કહેવું છે કે, દિવસ દરમિયાન ધૂળ એટલી વધી જાય છે કે, દુકાનોમાં માલસામાન ઢાંકીને રાખવો પડે છે. ઘણીવાર શ્વાસ લેવામાં મુશ્કેલી પણ સર્જાય છે. લોકોની માગ છે કે, તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરીને બાંધકામ સાઈટો પર નિયમિત પાણીનો છંટકાવ સુનિશ્વિત કરે.