Gujarat

તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરિકેટ તોડી ડમ્પર ચાલક નાશી છૂટયો

By GS TEAM
21 Nov 20251 min read
તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરિકેટ તોડી ડમ્પર ચાલક નાશી છૂટયો

જર્જરિત પુલનું કામ ચાર મહિનાથી શરૃ નહીં થતાં હાલાકી

નદીમાં ડાયવર્ઝન બની શકે તેમ હોવા છતાં તંત્ર રસ નહીં લેતા અનેક ગ્રામજનો સહિત વિધાર્થીઓને હાલાકી

લખતરવડોદરાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ ૨૩મી જુલાઇના રોજ લખતર-લીંબડી રોડ પર તલવણી ગામ પાસે પુલ દસ વર્ષમાં બિસ્માર બની જતા તંત્ર દ્વારા બેરિકેટ લગાવી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પુલની બંને બાજુ બેરિકેડ મુકવામાં આવ્યા હતા.

તાજેતરમાં તલવણી ગામ નજીક પુલ પર મુકવામાં આવેલું બેરિકેડ (હાઇટ ગેજ) કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. ગામના જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ પુલ પર લગાવેલું બેરિકેડ ડમ્પર ચાલક તોડીને નાશી છૂટયો હતો. જે અંગે પીડબ્લ્યુડી વિભાગને તેઓએ ટેલિફોનીક જાણ પણ કરી હતી પરંતુ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ અને અન્ય વાહનના અકસ્માત થાય તેવી હાલત કરનાર ડમ્પર ચાલક સામે કોઈપણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ નદીમાં ડાયવર્ઝન બની શકે તેમ છે અને નદીમાં જેતે સમયે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના પાઈપ હજુ સુધી નદીમાં પડયા છે. તો પણ તંત્ર દ્વારા કેમ ડાયવર્ઝન બનાવવામાં આવતો નથી? તેમજ જો ડાયવર્ઝન બનાવી બસ શરૃ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે તેમ છે.