Vadodara Water Shortage : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન છે ત્યારે આજવા સરોવરથી નિમેટા સુધી પાણીની નવી લાઈન નાખવામાં આવી છે. આજવાથી નીકળતી હાલની પાણીની લાઈન સાથે નવી મેનિફોલ્ડ મુકવાની કામગીરી કરવા માટે આજવા ઇન્ટેકવેલમાંથી પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂરિયાત છે. જેથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાંચ લાખ જેટલા લોકોને આગામી તા.25મીએ સાંજે તથા તા.26ના બંને સમય સહિત તા.27મીએ તંત્ર દ્વારા પાણી આપી શકાશે નહીં. ઉપરાંત તા.27મીએ સાંજનું પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે. જેથી શટ ડાઉનની નક્કી થયેલી તારીખ અગાઉ જે તે વિસ્તારના રહીશોએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા તથા પાણીનો સંગ્રહ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરથી વધુ પ્રમાણમાં પાણી આપી શકાય એ અંગે પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવરથી નિમેટા સુધી નાખવામાં આવેલી નવી 1524 મીમી વ્યાસની લાઈનના આજવા સરોવરમાંથી નીકળતી હાલની લાઈન સાથે જોડાણ કરવાની અને નવી મેનીફોલ્ડ મુકવાની કામગીરી કરવાની છે જેથી આ જોવાના મુખ્ય પ્રવાહમાંથી સંપૂર્ણ પાણીપુરવઠો બંધ કરવાની જરૂરિયાત છે. જેથી શહેરની પાણીગેટ ટાંકી નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોદ ટાંકી અને સયાજીપુરા ટાંકી ખાતેથી તથા સંખેડા, દશા લાડ, મહેશનગર, સોમા તળાવ, દંતેશ્વર, મહાનગર તથા નંદ ગામ સહિત ઓનલાઇન બુસ્ટરોએથી આગામી તા.25, મંગળવારે સાંજે અને બીજા દિવસે તા.26, બુધવારે સવારે અને સાંજે બંને વખત તથા તા.27, ગુરુવારે પાણી આપવામાં આવશે નહીં. આ દિવસો દરમિયાન આજવા ટાંકી અને લાલબાગ ટાંકી ખાતેથી કાપથી પાણી આપવામાં આવશે. જ્યારે તા.27, ગુરુવારે સાંજના સમયથી તમામ ટાંકીઓ અને બુસ્ટરના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી આપવામાં આવશે. આમ શટ ડાઉનની નક્કી થયેલી તારીખ કો અગાઉ આ વિસ્તારના સ્થાનિક રહીશોએ પાણીનો સંગ્રહ કરવા તથા પાણીનો ઉપયોગ કરકસરથી કરવા પાલિકા તંત્રના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.


