Gujarat

કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત

By GS TEAM
24 Jul 20251 min read
કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત

  અમદાવાદ,બુધવાર, 23 જુલાઈ,2025

અમદાવાદના ખોખરા સ્મશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટ પ્રા.લિ.ની બેદરકારીના કારણે  વીજ કરંટ લાગતા મુળ રાજસ્થાનના વતની એવા ૨૭ વર્ષના યુવકનુ મોત નિપજયુ હતુ.યુવક ખાડામા ભરાયેલા પાણીનો તાગ મેળવવા ગયો હતો.તે સમયે વીજકરંટ લાગ્યો હતો.કોન્ટ્રાકટરને આ ઘટનાની જાણ કરવા છતાં તે સ્થળ ઉપર ઘટના બન્યાના એક કલાક પછી પણ પહોંચ્યો નહતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ખોખરા સ્મશાનના નવીનીકરણને લઈ ખોદવામા આવેલા ખાડામાં પાણી ભરાયેલુ હતુ.આ સમયે પાણીનો તાગ મેળવવા ઉતરેલા હાલ ચાંદખેડા વિસ્તારમા રહેતા દીપક રાધેશ્યામ સેવતા, ઉંમર વર્ષ-૨૭ને થ્રી ફેઈઝની ચાલુ વીજલાઈનમાંથી કરંટ લાગતા સ્થાનિક યુવકો બચાવ માટે આગળ તો આવ્યા હતા પરંતુ તેને બચાવી શકાયો નહતો.યુવકને જયારે બહાર કાઢી ૧૦૮ને બોલાવવામા આવી એ સમયે સાથેના આઠ જેટલા કર્મચારીઓ ગંભીરતા દાખવી સાથે રહેવાના બદલે સ્થળ ઉપરથી ભાગી ગયા હતા.મ્યુનિસિપલ કંટ્રોલમાં આ ઘટનાની જાણ કરાતા અમારામા આવતુ નથી અન્ય ઓફિસમાં જાણ કરો એમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા.

કોન્ટ્રાકટર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એડીશનલ સીટી ઈજનેર હીમાંશુ મહેતાએ કહયુ, કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બનેલી આ ઘટનાને લઈ નોટિસ આપવાની સાથે તેની સામે પોલીસ ફરિયાદ પણ વિભાગ તરફથી કરવામા આવશે.