Gujarat

GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી

By GS TEAM
20 Mar 20262 mins read
GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી

કૃષ્ણનગર મેઈન રોડની ઘટના, રસ્તાઓ-દુકાનો બંધ કરવા પડયા તોફાની પવનને લીધે તુટી પડેલા વૃક્ષ અને વીજપોલને હટાવવા જતાં જમીનની અંદર રહેલી ગેસની લાઈન લીકેજ; સમય સૂચકતા કામ કરી ગઈ

રાજકોટ, : રાજકોટમાં ગઈકાલે તોફાની પવનને કારણે શહેરમાં અનેક સ્થળે તોતિંગ વૃક્ષો તુટી પડયા હતા. વીજપોલ ધરાશાયી થયા બાદ આજરોજ અહીંના કૃષ્ણનગર મેઈન રોડ ઉપર વીજતંત્ર દ્વારા તુટી પડેલા વૃક્ષ અને વીજપોલને ક્રેઈનની મદદથી હટાવવા જતા જમીનની અંદર રહેલી જીએસપીસીની મોટી લાઈન ડેમેજ થતા ગેસનો  ફૂવારો છૂટી ગયો હતો. પરિણામે સમગ્ર વિસ્તારની દુકાનો-રસ્તા બંધ કરાવ્યા બાદ બે કલાક સુધી ગભરાટનો માહોલ  જોવા મળ્યો હતો. 

રાજકોટમાં ગુજરાત ગેસની અન્ડરગ્રાઉન્ડ ગેસ લાઈન અવાર-નવાર રસ્તાના ખોદકામ દરમિયાન ડેમેજ થતી હોય છે પરંતુ આજે સવારે અહીંના કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલા ગુરૂપ્રસાદ ચોક અને સ્વામિનારાયણ ચોક નજીકના વિસ્તારમાં તુટી પડેલા વૃક્ષ અને વીજપોલને હટાવવા જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વીજતંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં દરેક જગ્યાએ જયાં અન્ડરગ્રાઉન્ડ ગેસની લાઈનો પસાર થાય છે તે વિસ્તારમાં સલામતી સૂચક વિગતો દશાૃવવામાં આવી છે. અલબત્ત અહીં જે સ્થળે તોતિંગ વૃક્ષ વીજપોલ ઉપર તુટી પડયું હતું તે સ્થળે અન્ડર ગ્રાઉન્ડ  ગેસની મોટી લાઈન હોવા છતાં કોઈપણ પ્રકારની સુચના નહી હોવાથી તુટી પડેલા તોતિંગ વૃક્ષ અને વીજપોલને હટાવવા માટે મોટી ક્રેઈન વીજતંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા મગાવવામાં આવી હતી. વૃક્ષની ડાળીઓ વીજપોલ ઉપર પડી હોવાથી વીજપોલ પણ તુટી પડયો હતો. તેથી પુરા પ્રેસર સાથે ધરાશાયી થયેલા વૃક્ષની સાથે વીજપોલ હટાવવા જતા અન્ડરગ્રાઉન્ડ ગેસની લાઈન પણ ધડાકાભેર તુટી પડી હતી. જેના કારણે ગેસના ફૂવારા છૂટતા તાકીદે ઘટના સ્થળે હાજર રમેશ તારપરાએ સમયસૂચકતા વાપરી અધિધકારીઓની સૂચનાના આધારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેમજ જીએસપીસીના અધિકારીઓને ફોન કરતાં ગાડીઓ દોડતી થઈ હતી. ગેસ લીકેજને કારણે ગમે ત્યારે આગ લાગે તેવી સંભાવનાને ધ્યાને લઈ રમેશભાઈએ કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલી તમામ દુકાનો અને રસ્તાઓ  બંધ કરાવ્યા હતા. અડધા કલાક બાદ જીએસપીસીના અધિકારીઓએ ગેસની લાઈન બંધ કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ મોટી લાઈન ડેમેજ થઈ હોવાથી અન્ય ટીમને કામે લગાડવી પડી હતી. તેથી મહામુસીબને ગેસની લાઈન બંધ થઈ હતી. જો આ સમયે આગની દુર્ઘટના બની હોત તો મોટી જાનહાનિ સર્જાત અલબત્ત સમયસૂચકતાથી દુઘર્ટના થતી અટકી હતી.