યાત્રાધામ નારેશ્વરમાં પીધેલા ડમ્પર ચાલકે હદ વટાવી, રેતી સાથેનું ડમ્પર પગથિયાથી નદીમાં ઉતારી દીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીકના યાત્રાધામ નારેશ્વર અને તેની આસપાસમાં રેતી ખનન કરતા ડમ્પર ચાલકોની દાદાગીરી તેમજ બેદરકારીને કારણે અકસ્માતના વારંવાર બનાવો બનતા હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે ગઈકાલે રાત્રે એકદમ પર ચાલકે હદ વટાવી દીધી હોવાના બનાવને પગલે લોકો રોષે ભરાયા છે.
વડોદરાના કરજણ તાલુકામાં નર્મદા નદીને કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે મંદિર પાસે આવેલા નર્મદાના ઘાટ ઉપર લોકો સ્નાન તેમજ પૂજન અર્ચન કરતા હોય છે. આ ઘાટના 80 થી 100 જેટલા સુંદર પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે. તેની આસપાસ કેબીનો પણ આવેલી છે.
ગઈ રાત્રે નશામાં ચૂર એક ડમ્પર ચાલક રેતી ભરેલું ડમ્પર પગથિયાં સુધી લાવ્યો હતો અને પગથિયા દ્વારા નદી તરફ પૂર ઝડપે ઉતારી દેતા એક કેબીનને નુકસાન થયું હતું તેમજ પગથિયા પણ તૂટી ગયા હતા. ડમ્પર નદી પાસે કુંડને તોડીને અટકી ગયું હતું. ડમ્પરના પૈડા તેમજ બોડીના અન્ય પાર્ટ્સ પણ તૂટી ગયા હતા.
બનાવને પગલે લોકોના ટોળા જામતા ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ આવી જતા તેને પોલીસને હવાલે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ અલ્કેશ કટારા હોવાનું જાણવા મળ્યું છે. અધિક માસ હોવાથી અહીં ભક્તો મોટી સંખ્યામાં નહાવા માટે આવતા હોય છે. પરંતુ રાત્રી નો સમય હોવાથી મોટી જાનહાની થતા રહી ગઈ હતી.
ઉપરોક્ત બનાવ બાદ ગ્રામજનોમાં ફરી એકવાર આક્રોશની લાગણી જોવા મળી હતી અને રેતીખનન તાત્કાલિક બંધ કરવા માટે માંગણી કરવામાં આવી છે.








