ચેપ ફેલાવતા ઉભયજીવી (પેરાસાઈટ્સ) મ્યુટન્ટ થઈ રહ્યા છે : 'હૂ'ના અદ્યતન રિપોર્ટમાં સંતોષ સાથે ચિંતાઃ 4000 વર્ષથી ક્વિનાઈન અને ભારતમાં સદીઓથી સુદર્શનચૂર્ણ વપરાય છે : હવે એસીટી સારવાર
રાજકોટ, : ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેલેરિયા પર નિયંત્રણ લાવીને આ રોગને કાયમી જાકારો આપવાના ધ્યેય સાથે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલા રિપોર્ટ મૂજબ એક તરફ મેલેરિયા નિયંત્રણ માટેની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે એન્ટી મેલેરિયલ ડ્રગ્ઝના રેઝિસ્ટન્ટ (દવાની પૂરતી અસર ન થવી) મુદ્દે ચિંતા વ્યક્ત થઈ છે.
ગત વર્ષ ઈ.સ. 2024માં મેલેરિયાના 28.20 કરોડ કેસો નોંધાયા છે જે ગત વર્ષ ઈ. 2023 કરતા 90 લાખ વધારે છે, એટલે કે 3 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ઈ.સ. 2023માં 5.98 લાખ લોકોના મેલેરિયાથી મૃત્યુ (મેલેરિયા પી.એફ. વધુ જીવલેણ નિવડી શકે છે) સામે ગત વર્ષે આંક વધીને 6.10 લાખ થયો છે. જો કે મોટાભાગના કેસો આફ્રીકામાં નોંધાયા છે અને મૃત્યુ પામનારામાં બાળકો વધારે છે.
સમગ્ર વિશ્વમાં આજ સુધીમાં 47 દેશો મેલેરિયામુક્ત જાહેર થયા છે અને ભારત ઈ.સ. 2030 સુધીમાં મેલેરિયા મુક્ત થવાનો લક્ષ્યાંક છે. ચાલુ વર્ષે દેશમાં જૂન સુધીમાં જ 95,000 કેસો નોંધાયા છે. 140 કરોડના દેશને મેલેરિયા ફ્રી થવા માટે મોટી જનસંખ્યા સાથે ડ્રગ રેઝિસ્ટન્સી પણ પડકારરૂપ છે.
મેલેરિયાની સારવારમાં વિશ્વમાં ઈ.સ. 1600ની સદીથી એટલે કે ચારસો વર્ષથી ક્વિનાઈનનો ઉપયોગ થતો રહ્યો છે, હજુ પણ તે થાય છે પરંતુ, તેની સાઈડ ઈફેક્ટ અને ડ્રગ રેઝિસ્ટન્ટ બાદ હવે સામાન્ય લક્ષણો સાથેના કેસમાં આરંભમાં 'આર્ટેમિસીનિન 'બેઝ્ડ કોમ્બિનેશન થેરાપી (એસીટી) ઉપર વિશ્વના વિજ્ઞાાનીઓ ભાર મુકી રહ્યા છે.જો કે ભારતમાં મેલેરિયા અર્થાત્ આ 'ટાઢિયા તાવ'માટે સદીઓથી સૂદર્શન ચૂર્ણનો વ્યાપક ઉપયોગ થતો રહ્યો છે અને આજે પણ તે અસરકારક ગણાય છે


