Gujarat

લીલાપુર-કારેલા રોડ પર ગાંડા બાવળના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન

By GS TEAM
15 Jun 20251 min read
લીલાપુર-કારેલા રોડ પર ગાંડા બાવળના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન

- બાવળના કારણે ચાલકને ઈજા તેમજ અકસ્માતની ભીતિ

- અકસ્માત કે કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા બાવળ હટાવવામાં આવે તેવી માંગ

સુરેન્દ્રનગર : લખતરના લીલાપુરથી કારેલા ગામ તરફ જવાના રસ્તા પર બાવળોના સામ્રાજ્યના કારણે વાહનચાલકોને હાલાકી ભોગાવવાનો વારો આવી રહ્યો છે. અકસ્માત કે કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા બાવળ હટાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અમુક મુખ્ય માર્ગો તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને ધ્યાને લઈ સરકાર દ્વારા સ્થાનિક તંત્રને બાવળો દુર કરવા સુચનાઓ આપવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્રના અધિકારીઓ સરકારી સુચનાઓને પણ ધોળીને પી જતા હોય તેમ લાગી રહ્યું છે. 

લખતરના લીલાપુરથી કારેલા ગામ તરફ જવાના રસ્તા પર ઢેરઢેર બાવળોનું સમ્રાજ્ય સર્જાયું છે જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ અડધા રસ્તા પર બાવળો ફેલાઈ જતા વાહનચાલકોને ઈજાઓ પહોંચવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તેમજ બાવળો વધીને રસ્તા પર આવી જતા વાહનચાલકોને સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે ગાંડા બાવળોના કારણે અકસ્માત કે કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા રોડ પરથી હટાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.