Gujarat

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન

By GS TEAM
13 Nov 20251 min read
લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન

- બાવળના કારણે ચાલકને ઈજા તેમજ અકસ્માતની ભીતિ

- અકસ્માત કે કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા બાવળ હટાવવામાં આવે તેવી માંગ

સુરેન્દ્રનગર : લખતર રેલ્વે સ્ટેશન રોડ થઇને સદાદ, મોઢવાણા, નાના અંકેવાળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારો તરફ અવર જવર કરતા લોકોને લખતર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ નર્મદાના પુલ પર થઈને પસાર થવું પડે છે. 

નર્મદા વિભાગના આ પુલની પાસે રોડની બંને બાજુ મોટા પ્રમાણમાં નડતરરૂપ બાવળો ઉગી નીકળતા વાહન ચાલકોમા અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. આ રોડ પરથી રોજના અસંખ્ય વાહનો સહિત રાહદારીઓ તથા ગ્રામજનો પસાર થાય છે. તેમજ હાલ શિયાળાનો પ્રારંભ થતા વહેલી સવારે આ રોડ ઉપર લખતરના નાગરીકો પણ વોકિંગ માટે નિકળતા હોય છે. ત્યારે રોડની બંને બાજુ ઉગી નીકળેલા બાવળો રોડની સાઇડ નમી ગયેલા હોવાથી લોકોને ઈજાઓ પહોંચવાના બનાવો પણ બની રહયા છે. ત્યારે આ બાવળોને કારણે કોઇ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા બાવળોનો યોગ્ય નીકાલ કરવામાં આવે તેવી રાહદારી સહિત વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.