આંકલાવથી અંબાલી જવાના રોડ પર અકસ્માત
મૃતક 19 ડિસેમ્બરે બાઈક લઈને ભેટાસી તળપદ ખાતે સાસરીમાં જવા નીકળ્યો હતો
બોરસદ તાલુકાના કોઠીયાખાંડ ગામના રહીશ અશોકભાઈ છત્રસિંહ પઢીયાર ગત તારીખ ૧૯ ડિસેમ્બરે બપોરના એક વાગ્યાની આસપાસ બાઈક લઈને ભેટાસી તળપદ ખાતે પોતાની સાસરીમાં જવા નીકળ્યા હતા.
આંકલાવ-અંબાલી રોડ પર રૂપણી માતાજીના મંદિર નજીક વળાંકમાં તેમનું મોટર સાયકલ અચાનક સ્લિપ ખાઈ ગયું હતું. જેથી અશોકભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ આંકલાવ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે કિંખલોડની નવજીવન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને અંતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર દરમિયાન તારીખ ૨૫ ડિસેમ્બરે રાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ મામલે રંગીતભાઈ ચતુરભાઈ પઢીયારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


