- માતરના શેખપુર ગામના બસ સ્ટેન્ડ પાસે
- તા. 10 ડિસેમ્બરે અકસ્માત સર્જાયો હતો, પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધ્યો
નડિયાદ : માતર તાલુકાના શેખપુર ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પર ગત તારીખ ૧૦ ડિસેમ્બરના રોજ આઈસરે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા આઈસર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ધોળકા તાલુકાના જણંધ ગામમાં રહેતા અને મૂળ વતન મોરડ (તા. પેટલાદ)ના રહેવાસી રાજેશભાઈ બાઈક લઈ પોતાના મોરડ ગામના મકાનમાં ચાલતા સમારકામ માટે સામાન વ્યવસ્થિત કરવા ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે તેઓ બાઈક લઈને પરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન માતર તાલુકાના શેખપુર ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી પસાર થતા સમયે પુરપાટ ઝડપે આવતી આઈસરએ બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં રાજેશભાઈ બાઈક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ રાજેશભાઈને ખેડા સિવિલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે આઈસરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


