- પીપલગ નેશનલ હાઈવે પર અકસ્માત
- ઈજાગ્રસ્તને નડિયાદ બાદ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા
નડિયાદ : પીપલગ નેશનલ હાઈવે નંબર ૪૮ પર સાઇડ પર ઉભેલી બ્રેક-ડાઉન ટ્રકની પાછળ ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના સત્યમનગર, નરોડા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ભાઈ અર્જુનભાઈ મૂરકુટ પોતાની ટ્રક લઈને બરોડાથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ગત રાત્રિના આશરે ૨.૦૦ વાગ્યાના સુમારે પીપલગથી પીજ ચોકડી તરફ જતા હાઈવે પર રસ્તાની સાઈડમાં એક બ્રેક-ડાઉન પડેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત સર્જાતા નરેન્દ્રભાઈને માથાના ભાગે, કપાળમાં તેમજ શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને તુરંત જ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતા નરેન્દ્ર ભાઈ મૂરકુટ (ઉં.વ.૩૨)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતકના કાકા સુભાષભાઈ અર્જુનભાઈ મુરકુટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


