પંચવટી ચોકમાં બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મોત નિપજ્યું
- મિત્રને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- બન્ને મિત્રો બાઈક લઈને ઘર તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના ઘોઘા રોડ,ચૌદનાળા,મીની હીરા બજારમાં રહેતા વનરાજસિંહ ચંદુભા સરવૈયા અને તેમના મિત્ર વિક્રમસિંહ માવુભા ગોહિલ ( રહે. ઘોઘારોડ, મોટા શીતળા માતાજીના મંદિર સામે, મારુતિ નગર ) ગત તા.૨૨ મે ૨૦૨૫ના રોજ તેમનું મોટરસાઇકલ નં.જી.જે.૦૪ ડી.કે. ૮૪૭૮ લઈને રાત્રિના બાર વાગ્યા આસપાસ સુભાષનગર, પંચવટી ચોક, માળનાથ પાનના ગલ્લા સામે જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર કામ શરૂ હોય ત્યાં રાખેલ લોખંડનું ભૂંગળું વચ્ચે આવતા અચાનક બાઈકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં વનરાજસિંહ અને વિક્રમસિંહને ઇજા થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાઈક ચાલક વનરાજસિંહ ચંદુભા સરવૈયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે વિક્રમસિંહએ મિત્ર વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.