Gujarat

ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, પીડિત હાલ સારવાર હેઠળ

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં આજે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે શુક્રવારે (13મી ફેબ્રુઆરી) ડોળાસા ગામે સજ્જડ બંધ પાળ્યો હતો અને વેપારીઓએ વિશાળ રેલી યોજી તંત્રને રજૂઆત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, પીડિત હાલ સારવાર હેઠળ

Gir Somnath News: કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં આજે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે શુક્રવારે (13મી ફેબ્રુઆરી) ડોળાસા ગામે સજ્જડ બંધ પાળ્યો હતો અને વેપારીઓએ વિશાળ રેલી યોજી તંત્રને રજૂઆત કરી હતી.

શું છે સમાગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, 10મી ફેબ્રુઆરીની રાત્રે ડોળાસામાં હાર્ડવેરની દુકાન ચલાવતા 45 વર્ષીય વેપારી દિલીપ મોરી પર ઉનાના માથાભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નિલય વાળા અને તેના સાગરીતોએ કરેલા આ હુમલામાં દિલીપભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. હાલ તેઓ કોડીનારની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે વેપારી મહામંડળ અને ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રીક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર ચાલક ક્રાઈમ બ્રાન્ચની ઝપટે


આજે સવારથી જ ડોળાસા ગામના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને ગ્રામજનોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી હતી, જે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશને પહોંચી હતી. આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ માંગ કરી હતી કે નિર્દોષ વેપારી પર હુમલો કરનારા માથાભારે તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે.

સમાજ અને વેપારીઓમાં રોષ

એક સામાન્ય વેપારી પર આ પ્રકારે સરેઆમ હુમલો થતા સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. રાજપૂત સમાજના આગેવાનોએ પણ આ બનાવને વખોડી કાઢ્યો છે અને જો વહેલી તકે આરોપીઓની ધરપકડ કરી કડક સજા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી આપી છે. ઘટનાને પગલે ડોળાસા અને કોડીનાર પંથકમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનાર પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરોની ઓળખ થઈ ચૂકી છે અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.