Get The App

ડીએનએ મેચ તથા વડોદરાના 5 લોકોના મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરાયા

મૃતકોના પાર્થિવ દેહ તેઓના નિવાસ્થાને આવી પહોંચતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા

મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા અને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
ડીએનએ મેચ તથા વડોદરાના 5 લોકોના મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરાયા 1 - image


અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પરિવારજનોના ડીએનએ દ્વારા મુસાફરોની ઓળખ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં દેવલોક પામેલ વડોદરા શહેરની 5 વ્યક્તિઓના પાર્થિવદેહ  તેમના ઘરે પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ અંતિમયાત્રાઓમાં જોડાઈ અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે ગ્રીન કોરિડોર બનાવી 108 એમ્બ્યુલન્સ, પોલીસની બે ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદમાં ગઇ 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 241 લોકોના મોત થયા હતા, એક વ્યક્તિ માત્ર જીવીત બચી શક્યો હતો. આ દુર્ઘટનામાં વડોદરા શહેરના 23 યાત્રીઓનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને ડીએનએ દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે માંજલપુરની ધનલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા કલ્પનાબેન પ્રજાપતિ યુકે રહેતા પુત્રને મળવા માટે જઈ રહ્યા હોય આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આજે તેઓનો પાર્થિવદેહ તેમના નિવાસ્થાને આવી પહોંચતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ સુભાનપુરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુબેન શર્મા મોટી પુત્રી અને તેના પરિવારને મળવા લંડન જવા નીકળ્યા હતા. પ્લેન ક્રેશમાં તેમનું નિધન થતા અમદાવાદથી ગ્રીન કોરિડોર બનાવી અંજુ શર્માનો મૃતદેહ વડોદરા તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. પુત્રી વડોદરા આવી માતાની અંતિમયાત્રામાં માતાને કાંધ આપી હતી. પરિવારની આ દુખની ઘડીમાં સહભાગી થવા માટે સ્થાનિક ધારાસભ્ય , કોર્પોરેટર , રાજકીય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જ્યારે મૂળ મહેસાણાના વતની અને હાલ વડોદરામાં વડસરના વ્રજભૂમિ ખાતે રહેતા નરેન્દ્રભાઇ  પંચાલ અને ઉષાબેન પંચાલ પુત્ર સાહિલ લંડનમાં હોય પતિ-પત્ની એક મહિના માટે ફરવા જવા આજે રવાના થયા હતા. પરંતુ પ્લેન ઉડાણ ભરે ત્યાંજ તેઓ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમના પાર્થિવદેહ પરિવારજનોને સોંપાતા તેઓની અંતિમયાત્રા સાંજે તેમના નિવાસ્થાનથી નીકળી માંજલપુર સ્મશાન પહોંચતા અંતિમ સંસ્કાર કરાયા હતા. તદુપરાંત 15 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલ અલ્શિનાબેન અલ્પેશભાઈ મેકવાન વર્ષમાં એક વખત વડોદરાના નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા માતા પિતાને મળવા માટે આવતા હતા. આ વર્ષે પણ તેઓ પરિવારને મળી પરત જવા નીકળ્યા હતા. આ દુર્ઘટનામાં તેઓએ દુનિયાને અલવિદા કહેતા આજે તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોપાતા પેન્શનપૂરા કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.


ડીએનએ મેચ તથા વડોદરાના 5 લોકોના મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરાયા 2 - image


આજે લવાણીયા દંપતીના અંતિમ સંસ્કાર કરાશે

અટલાદરામાં રહેતા નીરજભાઈ લવાણીયા અને તેમના પત્ની અપર્ણા લવાણીયાનું પણ પ્લેન ક્રેશ થતા કરૂણ મોત નીપજ્યું હતું. મૂળ આગ્રાનાં નીરજભાઈની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. ડીએનએ ટેસ્ટ માટે નીરજભાઈની દીકરીનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. લવાણીયા દંપતીના ડીએનએ મેચ થઈ જતા તેઓ આવતીકાલે સોમવારે સવારે દેહ સ્વીકારી અંતિમ વિધિ કરશે.

અંજુબેનની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

"જીના હૈ હસ કે હમે જીવન કા હર પલ ,કોઈ ન જાને યહાં ક્યા હો જાયે કલ"ની અંજુબેનએ બનાવેલ રીલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી.

વલ્લભભાઇની ઓળખ થઈ , પણ તેમના પત્નીની ડીએનએ મેચ ન થતા બાકી

વાસણા વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેન પુત્રીના ઘરે જવા માટે લંડન જઈ રહ્યા હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેઓ દુનિયા છોડી દેતા પુત્રીને વડોદરા આવવું પડ્યું હતું. અને માતા પિતાના મૃતદેહને મેળવવા ડીએનએ આપવા પડ્યા હતા. સ્વ. વલ્લભભાઇની ઓળખ થઈ ગઈ છે, પણ તેમના પત્નીની ડીએનએ મેચ ન થતા બાકી છે. ત્રણેય પુત્રીઓ માતાના મૃતદેહ મળવાની રાહ જોઈ રહી છે અને માતા પિતાના એક સાથે અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા ધરાવે છે.

ડીએનએ મેચ તથા વડોદરાના 5 લોકોના મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરાયા 3 - image
વડોદરા હિબકે ચડ્યું , ઠેર-ઠેર માત્ર રૂદનનું આક્રંદ છવાયુ

કાળજું કંપાવી દે તેવી આ ગોઝારી દુર્ઘટનાથી વડોદરા કણસી રહ્યું છે અને સ્વજનો ગુમાવનારાઓના આક્રંદથી માહોલ હજી પણ ગમગીન છે. આ દુર્ઘટનામા જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પરિવારમાં હૈયાફાટ આક્રંદ જોવા મળી રહ્યો છે. આ કરુણ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધું છે. મૃતકોના સગાસંબંધી અને પાડોશી તથા રાજકીય આગેવાનો સાંત્વના આપવા માટે પહોંચી રહ્યાં છે.

તમે "વિજય રૂપાણી"ને જોયા, અમે તેમની સાથે  છીએ : કલ્પનાબેનના અંતિમ શબ્દો

મળતી માહિતી મુજબ માંજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિની અંતિમયાત્રામાં તેમના સંબંધીનું અશ્રુભીની આંખે કહેવું હતું કે, મારી પત્ની અને કલ્પનાબેન 40 વર્ષથી એટલે કે નાનપણના મિત્ર હતા. તેમણે પ્લેનમાં બેસી મારી પત્નીને ફોન કરી કહ્યું હતું કે, તમે વિજય રૂપાણીને જોયા?, અમે તેમની સાથે બેસ્યા છે, મને મુસાફરીનો અનુભવ છે ,ટેન્શન ન લઈશ, લંડન પહોંચીને ફોન કરીશ, પ્લેનમાંથી મારી પત્નીને ફોટા પણ મોકલ્યા હતા.

એલ્શિના મેકવાનના કોફિન પર પરિવારે લખ્યું, "મીટ યુ સુન"

એલ્શિનાબેન મેકવાનએ પ્લેનમાં બેસી પિતાને કોલ કરી કહ્યું હતું કે, હુ પ્લેનમાં બેસી ગઈ છું, બે થી ત્રણ મિનિટમાં ફ્લાઇટ ઉપડશે, સામે પિતાએ કહ્યું હતું કે, ધ્યાન રાખજે. દરમ્યાન આજે તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસ્થાને આવી પહોંચતા તેમના પરિવારે કોફીન ઉપર એલ્શિનાબેનનો ફોટો લગાવી મીટ યુ સુન સહિતના લખાણો લખી સંવેદના વ્યક્ત કરી હતી. તેમના પિતાનું કહેવું હતું કે, ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.


Tags :