કોઈ દાઝી ગયું, તો કોઈનો રોડ અકસ્માત થયો.... ગુજરાતમાં દિવાળીના દિવસે 5400 ઈમરજન્સીના કેસ નોંધાયા

Emergency Cases In Gujarat During Diwali : ગુજરાતમાં દિવાળીની ઉજવણી દરમિયાન ઈમરજન્સીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં દિવાળીના દિવસે ઈમરજન્સીના કુલ 5,406 કેસ નોંધાયા હતા.
સૌથી વધુ સુરતથી ઈમરજન્સી કેસ નોંધાયા
ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા GVK-EMR દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ વર્ષે દિવાળીના દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતને લગતા 919 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. સુરત જીલ્લામાં માર્ગ અકસ્માત સંબંધિત ઈમરજન્સીના સૌથી વધુ 105 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 104, દાહોદમાં 54, રાજકોટમાં 51 અને વડોદરા જીલ્લામાં 50 કેસ માર્ગ અકસ્માત સંબંધિત ઈમરજન્સીના હતા.
અમદાવાદમાં શારીરિક ઈજાના સૌથી વધુ કેસ
શારીરિક ઈજાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં શારીરિક ઈજા 79, ત્યારબાદ સુરતમાં 59, દાહોદમાં 29 અને કચ્છ જીલ્લામાં 20 શારીરિક ઈજા સંબંધિત ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
દાઝી જવાના કેસ પણ સૌથી વધુ અમદાવાદમાં
આ સાથે જ ફટાકડા અને બેદરકારીના કારણે દાઝી જવાના મામલા પણ સામે આવ્યા છે. રાજ્યમાં દિવાળીના દિવસે દાઝી જવાના 58 કેસ સામે આવ્યા છે. જે પૈકી 17 કેસ તો માત્ર અમદાવાદ જીલ્લામાં નોંધાયા છે. સુરતમાં 8 અને જામનગર જીલ્લામાં દાઝી જવાના 5 કેસ નોંધાયા છે.
આરોગ્ય સંબંધીત કેસો પણ વધ્યા
આ ઉપરાંત દિવાળીના દિવસે રાજ્યમાં શ્વાસ લેવામાં તકલીફના 380 કેસ, પેટમાં દુખાવાની ફરિયાદના 570, હૃદયરોગના 267, તાવના 192 કેસ અને 33 સ્ટ્રોક સંબંધિત ઈમરજન્સી કેસ નોંધાયા હતા...જ્યારે પડી કે લપસી જવાના 291 અને વીજ કરંટ લાગવાના 16 કેસ નોંધાયા હતા.