વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તો ધોવાયો, 10થી વધુ ગામનો સંપર્ક તૂટયો
વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
વસ્તડી પુલ તુટી ગયા બાદ બે વર્ષથી તંત્ર દ્વારા નવો ન બનાવતા દર ચોમાસામાં રસ્તો ધોવાતો હોવાની રાવ
સુરેન્દ્રનગર - વઢવાણ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે અમુક તાલુકાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા કાચો ડાયવર્ઝન રસ્તો વરસાદમાં ધોવાઈ જતા ગ્રામજનો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વઢવાણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે તેમાં ઉપવાસમાં અવિરતપણે વરસાદ પડતા વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તો ધોવાઈ ગયો છે. વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો એકમાત્ર ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા વસ્તડી સહિત અંદાજે ૧૦થી વધુ ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને ન છુટકે ૭ થી ૮ કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. જ્યારે સામાકાંઠે શાળા આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. વઢવાણ તાલુકામાં વરસાદે વિરામ લીધાને દોઢ થી બે દિવસ જેટલો સમય થઈ ચુક્યો હોવા છતાં નદીમાં પાણીની સ્થિતિ જેમની જેમ જોવા મળી રહી છે. ગામના સરપંચ સહિત આગેવાનોએ અનેક વખત ડાયવર્ઝન રસ્તાને સરખો અને રીપેરીંગ કરવા તેમજ નવો પુલ બનાવવા રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે ચુડા, રાણપુર, બોટાદ સહિતના ગામોને જોડતા વસ્તડી ગામનો મુખ્ય પુલ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્યો નથી અને વૈકલ્પિક ધોરણે નદીમાં કાચો ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે જે દર ચોમાસામાં ધોવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક નવો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.