દિતવાહ વાવાઝોડુ દક્ષિણ ભારત તરફ ધસી આવતાં રાજ્ય સરકારો અને રાહત એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે. વાવાઝોડાના વધતા ખતરા વચ્ચે વડોદરાના જરોદ ખાતેથી છઠ્ઠી બટાલિયન એન.ડી.આર.એફ.ની 5 ટીમોને તમિલનાડુમાં તૈનાત કરવામાં આવી છે. આ તમામ ટીમોને ફ્લડ વોટર રેસ્ક્યૂ (FWR) અને કોલેપ્સ્ડ સ્ટ્રક્ચર સર્ચ એન્ડ રેસ્ક્યૂ (CSSR) માટે જરૂરી આધુનિક સાધનો સાથે સજ્જ કરી શનિવાર રાત્રે ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી હતી.
બંગાળની ખાડીમાં સર્જાયેલું દિતવાહ વાવાઝોડું શનિવારે શ્રીલંકામાં વિનાશ સર્જી ચુક્યું છે અને હવે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે આ વિસ્તારોમાં વાવાઝોડું લેન્ડફોલ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને જોરદાર પવનની આગાહી વચ્ચે તમિલનાડુના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર થયો છે. રેસ્ક્યૂ દળો દ્વારા સુરક્ષા અને બચાવ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની અનેક ટીમો પૂર્વ તૈયારી સાથે તૈનાત છે, જેથી સંકટકાળમાં જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય.


