જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામના સરપંચ દ્વારા ગામના વિકાસના કામોમાં હોદ્દાનો દુરુપયોગ બાબતમાં દોષિત ઠરતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા ઉપરથી દુર કરવામા આવ્યા છે. અને હવે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જામનગર તાલુકાના સુમરી ભલસાણા ગામના સરપંચ રામભાઇ રાયધનભાઈ છૈયા દ્વારા સિંચાઇ વિભાગના લાખો રૂપિયાના કામો તેઓના પુત્ર તથા ભત્રીજા પાસે કરાવવામાં આવ્યા હતા. તેમજ આ કામની રકમના લાખો રૂપિયા વાઉચરો દ્વારા તેમના પુત્ર અને ભત્રીજાને ચૂકવ્યા હતા. કાગળ ઉપર કામો બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી. ગુજરાત પંચાયત ધારા અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ સરપંચને દોષિત ઠેરવવામાં આવેલ છે.
જામનગર જિલ્લા પંચાયત સિંચાઇ શાખા દ્વારા એફ.ડી.આર રૂટ સુમરિ ભલસાણાના કામનો વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત સિંચાઇ શાખા દ્વારા રૂ.ત્રણ લાખ પાંસઠ હજારનું ચુકવણું કરવામાં આવ્યું હતું. જે કામોની રકમ સરપંચ રામભાઇ છૈયાએ તેમના પુત્ર તથા ભત્રીજાને ચૂકવી હતી. અન્ય બીજી પણ ગેરરિતીઓ અનિયમિતતા સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી રાખી સરપંચને સંભાળ્યા પછી સરપંચ રામભાઇ છૈયાને હોદ્દા ઉપરથી દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલી રહી છે. બીજી તરફ રાજકીય ભલામણો માટે દોડધામ થઈ રહી છે. જો રાજકીય શરણ નહિ થાય તો પોલીસ ફરિયાદ નક્કી જ છે.









