ST વિભાગ અને પાણી પુરવઠા વિભાગના 2500 કર્મીઓને નિમણૂક પત્રો એનાયત, નવી ભરતીની પણ જાહેરાત
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(GSRTC) એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા 2320 કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના 144 અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આમ, રાજ્ય સરકાર દ્વારા કુલ 2500 જેટલા કર્મચારીઓને નિમણૂક પત્રો અપાયા છે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'એસ.ટી. સેવાઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને પાણી દરેક માનવીના જીવનનો આધાર છે. આ બેય ક્ષેત્રો રાજ્યના વિકાસમાં ખૂબ મહત્ત્વના છે. એક સમયે પાણીની અછતનો સામનો કરનારું ગુજરાત સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વિશાળ વોટર ગ્રીડ અને નર્મદાના જળથી જળક્રાંતિ કરનારું રાજ્ય બન્યું છે. જ્યારે ગામડાના કે શહેરના સૌના પરિવહન માટેની જીવાદોરી સમાન એસ.ટી.માં સેવારત થઈ રહેલા કંડક્ટર કક્ષાના ઉમેદવારો માટે પણ જન સેવાની મોટી ઈશ્વરીય તક આવી છે.'
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં 3500 જગ્યા પર કરાશે ભરતી: કુંવરજી બાવળિયા
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી હતી કે, 'જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં વિવિધ સંવર્ગોમાં અંદાજે 3500 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.'