ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ કોન્ફરન્સમાં SVNIT સાથે ABVPના સંયુક્ત કાર્યક્રમથી વિવાદ
- વિદ્યાર્થી પરિષદના જનરલ સેક્રેટરીને ગેસ્ટ તરીકે બોલાવાતા સ્ટુડન્ટ યુનિયને વિરોધ કરતા કાર્યકરોને ડીટેઇન કરી લેવાયા
સુરત,તા.14 સપ્ટેમ્બર,2019,શનિવાર
સુરતની ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઇટીમાં આજથી શરૃ થયેલી બે દિવસની ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ કોન્ફરન્સમાં એસવીએનઆઇટીની સાથે જ એબીવીપીએ સંયુકત કાર્યક્રમ યોજતા એનએસયુઆઇએ વિરોધ કર્યો હતો. ખાસ કરીને એબીવીપીના નેશનલ જનરલ સેકટરીના લેકચરને લઇને એસવીએનઆઇટીને રાજકીય અખાડો બનાવ્યો હોવાના આક્ષેપ કરાયો હતો.
એનએસયુઆઇએ આક્ષેપ કર્યા હતા કે હકીકતમાં દેશભરમાં એનઆઇટીના સ્ટુડન્ટોને બોલાવીને જે કર્યક્રમ રખાયો છે. તે સારી બાબત છે. પરંતુ આ કાર્યકર્મમાં એસવીએનઆઇટી સાથે એબીવીપીને જોડી દઇને સંયુકત કાર્યક્રમ કરવાની સાથે જ એબીવીપીના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અભિષેક ચૌહાણને મહેમાન તરીકે બોલાવીને આ કાર્યક્રમને રાજકીય રંગ આપવાની સાથે જ આરએસએસ પ્રેરિત બનાવવાના પ્રયત્નો થયા છે. જેમાં એસવીએનઆઇટીના કેટલાક પ્રોફેસરોએ એબીવીપીને સામેલ કરીને રાજકીય રંગ અપાઇ રહયો છે. આવા આક્ષેપો બાદ આજના કાર્યક્રમમાં એનએસયુઆઇના કાર્યકરોને જવા દેવાયા નહોતા. અને પ્રમુખ મનિષ દેસાઇ સહિતના કાર્યકરોને ઉમરા પોલીસ ડીટેઇન કરીને લઇ ગઇ હતી.
બે દિવસની કોન્ફરન્સમાં મીડિયાને છેલ્લે સુધી આમંત્રણ અપાયુ નહીં
એસવીએનઆઇટીમાં આજે દેશભરમાંથી એનઆઇટીના વિદ્યાર્થીઓ કોન્ફન્સમાં ભાગ લેવા માટે આવવાના હોવાછતા એસવીએનઆઇટીએ છેલ્લી ધડી સુધી વિવાદ ન થાય તે માટે મીડીયાને દૂર રાખ્યુ હતુ. આજે સવારે કોન્ફરન્સ શરૃ થાય તે પહેલા મીડીયાને આમંત્રણ અપાયુ હતુ. શા માટે મીડીયાને આટલો મોટો કાર્યક્મ હોવા છતા દૂર રખાય તે સમજી શકાય તેવી બાબત છે. એનએસયુઆઇના પ્રમુખ મનિષ પટેલે આક્ષેપ કર્યા હતા કે આ કાર્યક્રમ દર વર્ષે ઇન્સ્ટીટયુટ દ્વારા યોજાય છે. અને આ વખતે સુરતમાં રખાયો છે. અને તેમાં એબીવીપીને સામેલ કરતા વિરોધ કરાયો હતો. અગાઉ એસવીએનઆઇટીમાં કોઇ કાર્યક્રમ હોય તો પ્રેસ કોન્ફરન્સ પણ થતી હતી.