જો કે બંને જૂથનો ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર
વર્ચસ્વની લડાઇને લઇ અગાઉ પણ બંને જૂથ વચ્ચે જ્યુબેલી પાસે મારામારી થતાં સામસામી ફરિયાદો નોંધાઇ હતી
પ્રાપ્ત માહિતી મુજબ ગંજીવાડા-૧૩માં રહેતા નીકિતા માસીએ ગઇકાલે રાત્રે ગંજીવાડાના શક્તિ ચોકમાં ફીનાઇલ પી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેની જાણ થતાં તેને જેની સાથે વિખવાદ ચાલે છે તે જૂથના છ કિન્નરો કે જેમાં ખુશ્બુ દે ગોપી દે (ઉ.વ.૨૪), સમીરા દે ગોપી દે (ઉ.વ.૩૦), બિંદીયા દે મીરા દે (ઉ.વ.૩૨), ગોપી દે મીરા દે (ઉ.વ.૩૦), ટીની દે મીરા દે (ઉ.વ.૩૦) અને કલ્પુ દે મીરા દે (ઉ.વ.૨૪) એ ઘંટેશ્વર ૨૫ વારિયા પાસે ખાટુ શ્યામ મંદિર નજીક ફીનાઈલ પી લીધું હતું. જેથી આ તમામને પણ સિવિલમાં ખસેડાયા હતાં.
જાણ થતાં થોરાળા અને ગાંધીગ્રામ પોલીસ ફરિયાદ નોંધવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચી હતી. પરંતુ બંને જૂથે ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો. તે પહેલા ફીનાઇલ પી લેનાર છ કિન્નરોના જૂથે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નિકીતા દે વિરૂધ્ધ અરજી પણ આપી હતી.
હજુ પોલીસ આ અરજીની તપાસ કરે તે પહેલાં નિકીતા દેએ ફીનાઇલ પી લીધું હતું. જેની જાણ થતાં તેની સામેના જૂથનાં છ કિન્નરોએ પણ ફીનાઇલ પી લીધું હતું. ત્યાર પછી આ જૂથના સભ્યોએ આજે નિકીતા દે વિરૂધ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરી તેની સામે કડક પગલા લેવાની માગણી કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બંને જૂથ વચ્ચે જ્યુબેલી પાસે મારામારી થતાં એ ડીવીઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ હતી. બંને જૂથમાં સામેલ સાતેય કિન્નરો પહેલા સાથે જ હતાં. ત્યાર પછી વર્ચસ્વની લડાઇને લઇ બંને જૂથ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જે હજુ પણ યથાવત છે.


