Get The App

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગર શહેરના નાગેશ્વર કોલોની, ભવાની માતાના મંદિર નજીક પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. બનાવ અંગે સીટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી પોલીસે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદ રામીબેન ભાણાભાઈ મેર (રહે. નાગેશ્વર કોલોની, જામનગર) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ હરીશભાઈ બારૈયા દ્વારા તેમના ઘર નજીક આવી ગાળાગાળી કરી હતી. દરમિયાન તકરાર વધતા લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરિયાદીના પતિને ઈજા પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ટીવીએસ સ્કૂટીની આગળની લાઈટ તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બીજી તરફ હરીશભાઈ ભાણજીભાઈ બારૈયા (રહે. નાગેશ્વર કોલોની, જામનગર) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેમના ઘર પાસે પાર્ક કરાયેલી મોટરસાયકલ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ભાણા કડવા મેર અને રાણીબેન મેરે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ લાકડી તથા હાથ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને ફરિયાદોના આધારે સીટી "બી" ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.