Jamnagar Crime : જામનગરના ધરાર નગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક ભરવાડ બુઝુર્ગ પર તેના પાડોશમાં જ રહેતા ચાર શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના ભાઈ પડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા કારાભાઈ લાંબરીયા (ચાવડા) નામના 66 વર્ષના ભરવાડ બુઝુર્ગ કે જેઓએ તેના પાડોશમાં રહેતા શકુરભાઈ કાનાભાઈ દેવીપુજક તથા તેના પરિવારજનોને જાહેરમાં કચરો નહીં ફેંકવા અને રાત્રિના સમયમાં દેકારો નહીં કરવા માટે જણાવ્યું હતું, અને રાત્રે દેકારો કરતા હોવાથી આડોશી પાડોશીઓને ખલેલ પહોંચે છે, તેવી રજૂઆત કરવા માટે ગયા હતા.
જે દરમિયાન પાડોશમાં રહેતા શકુરભાઈ કાનાભાઈ દેવીપુજક, વિજય દેવીપુજક, ભગલો શકુરભાઈ દેવીપુજક અને મોમીયો શકુરભાઈ દેવીપુજક વગેરે લાકડાના ધોકા અને પાઈપ વડે તૂટી પડ્યા હતા અને ભરવાડ બુઝુર્ગને ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડી હોવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલાના બનાવ અંગે ઇજાગ્રસ્ત કારાભાઈના પુત્ર રામભાઈ કારાભાઈ લાંબરીયાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


