જામનગરમાં પેટ્રોલ પંપના ભાગીદારોમાં હિસાબના ગોટાળા મામલે પડી તકરાર , 28 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
Jamnagar : જામનગર નજીક મોટી બાણુગાર ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા પેટ્રોલ પંપ સંચાલકે પોતાના જ ભાગીદાર સામે હિસાબમાં ગોટાળા કરી રૂપિયા 28 લાખ જેવી રકમ પચાવી પાડવા અંગેની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે છેતરપિંડીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટી બાણુગાર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કુંવરજીભાઈ અમૃતલાલ ભેસદડીયા, કે જેઓની સર્વે નંબર 439 વાળી જમીન મોટી બાણુગાર ગામમાં આવેલી છે, જ્યાં તેઓએ ભાગીદારીમાં શિવ શક્તિ પેટ્રોલિયમ નામનો પેટ્રોલ પંપ કર્યો હતો.
જેમાં પોતાની 30 ટકા ભાગીદારી હતી, જ્યારે આ પેઢીમાં તેની સાથે કાળુભા માનસંગજી પરમાર, ઉપરાંત રાજસીભાઈ ખીમાભાઈ ઓડેદરા અને દીલસુખભાઈ પરસોત્તમભાઈ મારવાણીયા વગેરે ભાગીદારો હતા, અને આ પેટ્રોલ પંપ ચલાવવાની જવાબદારી કાળુભા પરમાર નામના ભાગીદારના પુત્ર તીર્થરાજસિંહ પરમારને ભાગે આવી હતી, અને તે વહીવટ ચલાવતા હતા.
જેઓની તપાસ દરમિયાન પેટ્રોલ પંપમાં 1,78,45,712 ના નફા સાથેની મૂડીમાં તીર્થરાજ સિંહે અમોને હિસાબ આપ્યો હતો, જે પૈકી પૈકી 1,50,21,329 ની રકમ જમા દર્શાવી હતી. જ્યારે બાકીની 28,24,383ની રકમ દર્શાવી ન હતી, અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી આ મામલો પોલીસમાં લઈ જવાયો હતો.
સૌ પ્રથમ એસ.પી.ને અરજી કરવામાં આવી હતી, તેની તપાસ પંચકોશી એ.ડિવિઝનના પી.આઈ. એન.એન.શેખ અને તેઓની ટીમને સોંપવામાં આવી હતી, અને આ સમગ્ર પ્રકરણમાં 28 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા તીર્થરાજસિંહ પરમાર સામે ચીટીંગની ફરિયાદ નોંધાવાઇ છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.