25,000 કરોડની મિલકતો વેચવા મુદ્દે રઘુવંશીઓમાં અનબન
100માંથી અડધોઅડધ છાત્રાલયો નકામા હોવાથી પરિવર્તનનો સૂર : સુધારાવાદીઓ ધૂળ ખાતી મિલકતોનો નિકાલ કરીને મહાનગરોમાં નવી હોસ્ટેલ્સ બનાવવાના મતના પણ કેટલાક જૂના ટ્રસ્ટીઓનું ઊંહું! ક્યાં કઈ મિલ્કત વેંચી શકાય કે નહીં એ નિર્ણય આખરે તો ચેરિટીતંત્રને આધિન હોય
રાજકોટ, પોરબંદર, : દેશ- વિદેશમાં પથરાયેલા લોહાણા જ્ઞાાતિજનોની સંસ્થામાં ફરી એકવાર એક મહત્વના મુદ્દાને લઈને ચણભણ શરૂ થઈ છે. આ વખતે શિક્ષણનો મુદ્દો એમાં કેન્દ્રસ્થાને છે. એક તરફ, મોટાં શહેરોમાં અભ્યાસાર્થે જતા જ્ઞાાતિજનોનાં સંતાનોને નિવાસની બહેતર સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે જ્ઞાાતિ સંસ્થાઓએ હાલ નકામા પડી રહેલાં અન્ય છાત્રાલયો વેંચીને ફંડ ઊભું કરવું જોઈએ એવી માગણી ઊઠી છે, તો બીજી બાજુ જ્ઞાાતિના શિર્ષસ્થ આગેવાનો અંદાજે પચ્ચીસે'ક હજાર કરોડની આવી મિલકતો યથાવત રાખી મુકવા મક્કમ જણાય છે.
આ વિવાદની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી ઉઠેલાં એક સૂચન સાથે થઈ છે, જેમાં પોરબંદર લોહાણા મહાજનના સેક્રેટરી રાજેશ લાખાણીએ સૂચવ્યું હતું, કે આ સમાજના વડવાઓએ શિક્ષણનું મહત્વ સમજીને ભારતભરમાં સમાજના વિદ્યાર્થીઓ માટે જે બોર્ડિંગ, હોસ્ટેલ, બાલાશ્રમ, કન્યા છાત્રાલય બનાવેલાં છે, તેમાંથી મોટા ભાગની સંસ્થાઓ બંધ પડી છે અને ધૂળ ખાય છે એટલે આવી મિલકતો વેંચીને મોટાં શહેરોમાં હોસ્ટેલ બનાવવી જોઈએ.
વર્ષો પહેલાં મોરબી એન્જિનિયરિંગનું હબ હતું. ત્યાં લોહાણા સમાજની છાત્રાલય બની હતી. આજે આ વણવપરાયેલી મિલકતની કિંમત 10 કરોડ જેવી છે. જૂનાગઢમાં પણ 20 કરોડની જગ્યા પડી છે. વલસાડમાં 30 કરોડની જમીન પડતર છે. એક સમયે અમરેલી પણ શિક્ષણનું હબ હતું ત્યાં સ્કૂલ, કોલેજો બંધ થતાં લોહાણા સમાજના છાત્રાલય જેની અંદાજિત 100 કરોડની કિંમત છે તે ધૂળ ખાય છે. હાઈસ્કૂલ પણ વેંચવા બહાર પાડી છે. ગાંધીનગરમાં 100 કરોડની, તો ખંભાળિયા, દ્વારકા બોર્ડિંગની 50 કરોડથી વધુની કિંમતની મિલકતો બંધ પડેલી છે. નાના ગામમાં બંધ પડેલી આવી મિલકતો વેંચીને મહાનગરોમાં નવી બોર્ડિંગ બનાવવાનો સૂર ઉઠયો છે. લોહાણા સમાજ દ્વારા યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી.ની સંસ્થા ચાલુ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
આ તબક્કે, જ્ઞાાતિના આગેવાન એવા સૂત્રો કહે છે કે, દેશભરમાં લોહાણા સમાજનાં 100થી વધુ છાત્રાલયો છે પણ તેમાંથી 45 જ કાર્યરત છે. આખા દેશમાં સર્વે કરાયા અનુસાર રઘુવંશી સમુદાયની આશરે પચ્ચીસ હજાર કરોડની આવી મિલકતો પથરાયેલી પડી છે, જે યથાવત રાખવાની વિચારધારાને જ્ઞાાતિના આગેવાનો જડતાથી વળગી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે ક્યાં કઈ મિલ્કત વેંચી શકાય કે નહીં એ નિર્ણય આખરે તો ચેરિટીતંત્રને આધિન હોય પરંતુ હાલના તબક્કે એવો ઘૂંઘવાટ શરૂ થયો છે કે કેટલાક ટ્રસ્ટીઓ વણવપરાતી મિલકતને પોતાની માલિકીની સમજી બેસી જ્ઞાાતિહિતનું કામ થવા દેતા નથી.