Gujarat

નિયમના અર્થઘટનને લઈ અસંમજસ, અમદાવાદમાં ફટાકડાના વેચાણ માટે ૧૮ અરજી તંત્રને મળી

By GS TEAM
15 Oct 20251 min read
નિયમના અર્થઘટનને લઈ અસંમજસ,  અમદાવાદમાં ફટાકડાના વેચાણ માટે ૧૮ અરજી તંત્રને મળી

 અમદાવાદ,બુધવાર,15 ઓકટોબર,2025

૨૦ ઓકટોબરે દિવાળી પર્વ ઉજવાશે.આમ છતાં અમદાવાદમા ફટાકડાના વેચાણ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ આપવા મામલે નિયમોના અર્થ ઘટનને લઈ  ફાયર વિભાગના અધિકારીઓ અસંમજસમા જોવા મળી રહયા છે.સમગ્ર શહેરમાંથી ફટાકડાના વેચાણ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ અને જરુરી મંજૂરી મેળવવા ૧૮ અરજી ફાયર વિભાગને મળી છે. એક પણ કિસ્સામા ફાયર સેફટી સર્ટિફિકેટ આપવામા આવ્યુ નથી.એમ ચીફ ફાયર ઓફિસરનુ કહેવુ છે.

રાજયના શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરવા તથા વેચાણ કરવા કોર્પોરેશન લેવલે ચીફ ફાયર ઓફિસરને સત્તા આપતો પરિપત્ર કરાયો છે.હવે આ પરિપત્રને લઈ અલગ અલગ અર્થઘટન કરાઈ રહયુ છે. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ કહયુ, ફટાકડાના વેચાણ માટે ૧૮ અરજી આવી છે.તમામ અરજીમા વિભાગ તરફથી માત્ર ઓપીનીયન આપવામા આવ્યો છે.ફાયર સેફટી સર્ટિફિકેટ કયા કારણથી નથી અપાયા એ પ્રશ્નના જવાબમા તેમણે કહયુ,મારી સમજ મુજબ ૫૦૦ ચોરસમીટરથી ઓછુ ક્ષેત્રફળ ધરાવતા એકમ માટે ફાયર વિભાગે માત્ર ઓપીનીયન જ આપવાનો છે.રાજયના શહેરી વિકાસ વિભાગ તરફથી કરવામા આવેલા પરિપત્રમા પણ ફાયર સેફટી માટે સ્પષ્ટ અભિપ્રાય આપવાનો ઉલ્લેખ કરાયો હોવાથી આ બાબતને ફાયરના અધિકારીઓ વળગી રહયા છે.આ કારણથી ફાયર સેફટી સર્ટિફિકેટ લીધા વગર જ મોટી સંખ્યામા ફટાકડાનુ વેચાણ થઈ રહયુ છે.