છોટાઉદેપુરથી ધાર સુધીની નવી ૧૫૭ કિલોમીટરની રેલવે લાઈન મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોને સીધી રીતે જોડશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા અને ઇન્દોર જેવા બે મહાનગરો વચ્ચેનું મુસાફરીનું અંતર અને સમય ઘટશે.
રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી આજે છોટાઉદેપુરની મુલાકાતે હોઈ તેમણે જણાવ્યું હતું કે, આ નવી લાઈન અલીરાજપુર અને ધાર જેવા આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારોને ભારતીય રેલવેના મુખ્ય નેટવર્ક સાથે જોડશે. આથી કૃષિ ઉત્પાદન, કાચા માલ તથા અન્ય સામગ્રીઓના પરિવહનમાં સરળતા સાથે સ્થાનિક ઉદ્યોગો અને વેપારને મજબૂતી મળશે.
સુધારેલી કનેક્ટિવિટી લોજિસ્ટિક અવરોધો ઘટાડશે તથા ગ્રામ્ય-શહેરી અર્થતંત્ર વચ્ચેનું અંતર પણ ઘટશે, સાથે જ આતિથ્ય ક્ષેત્ર અને સહાયક સેવાઓમાં રોકાણ વધવાની શક્યતા છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ ૧૫૭ કિ.મી. છે. જેમાં મધ્યપ્રદેશનો ભાગ ૭૨ કિ.મી. રહેશે. પ્રોજેક્ટમાં છોટાઉદેપુર, અલીરાજપુર અને ધાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.


