ઘરેણાં હોવાનું કહેતા ફરવું વૃદ્ધાને ભારે પડયું : 4 ભાઈએ હત્યા કરી લૂંટ ચલાવી
- મથાવડા ગામે 9 દિવસ પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : ગામના શખ્સે ઘડયો હતો પ્લાન
- 30 એપ્રિલે રેકી કરી શખ્સે તેના ભાઈઓને બોલાવી વૃદ્ધાના ઘરમાં ઘુસી લૂંટ વીથ મર્ડરને અંજામ આપ્યો : તમામે લૂંટેલાં ઘરેણાંના ભાગ પણ પાડી લીધા
તળાજા તાલુકાના મથાવડા ગામે પરિવારથી અલગ રહેતા વૃદ્ધા રાજુબેન ટેકાભાઈ સોલંકી(ઉ.વ.૭૦)નો ગત તા.૩ના રોજ વહેલી સવારે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને લઈ મૃતકના પરિવારે અજાણ્યા વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તો, બીજી તરફ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલવા અલંગ મરીનની એક અને એલસીબીની બે મળી ત્રણ ટીમોએ તપાસ શરૂ કરી શકમંદોથી લઈ અલગ-અલગ લોકોના નિવેદન અને પૂછપરછ ના આધારે તપાસ શરૂ કરી હતી. જેના ૯ દિવસ બાદ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. મૃતક વૃદ્ધા અવારનવાર પોતાની પાસે રહેલા ઘરેણાં અંગે અન્ય લોકોને જણાવતા હતા અને તેની જાણ ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા સાગર મુકેશભાઈ પટેલીયા (રહે.હાલ મથાવડા ગામ, મુળ રહે.ભુંભલી)ને પણ હતી તેથી તેણે તેના ભાઈઓ નિતેષ ઉર્ફે ભુરો મુકેશભાઈ પટેલીયા (રહે.રતનપર-ભુંભલી રોડ વિસ્તાર), નિતેષ ઉર્ફે ટાભો ભરતભાઈ પટેલીયા (રહે.હાલ ડભોલી, સુરત, મુળ રહે.ભુંભલી) અને લાલજી મુકેશભાઈ પટેલીયા (રહે.ભુંભલી)ને વાત કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને ગત ૩૦મી એપ્રીલના રોજ રેકી કર્યાં બાદ ચારેયે તા.૩ મે મધ્યરાત્રિએ વૃદ્ધાના ઘરમાં ઘુસી તેમની પાસે રહેલાં ઘરેણાંની લૂંટ ચલાવી હત્યાને અંજામ આપ્યો હતો.તો, લૂંટના ઘરેણાંના ભાગ પાડી નાસી છૂટયા હતા. પોલીસે ગત મોડીસાંજે આ ગુનામાં સાગર મુકેશભાઈ પટેલીયાને મથાવડા ખાતેથી, નિતેષ ઉર્ફે ભુરો મુકેશભાઈ પટેલીયા તથા નિતેષ ઉર્ફે ટાભો ભરતભાઈ પટેલીયાને સુરત ખાતેથી ઝડપી લીધા હતા અનેરિમાન્ડની માંગ અર્થે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા ત્રણેયના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા ઉપરાંતમાં તેના અન્ય એક સાથી લાલજી મુકેશભાઈ પટેલીયાને ભુભલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છ, જેને આવતીકાસ સોમવારે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.