કપડવંજના ઘડિયામાં અણઘડ રીતે રોડ બનાવાતા મેળામાં પહોંચવું મુશ્કેલ
- એલ.જે. ચૌધરી એજન્સીના કોન્ટ્રાક્ટરો દ્વારા
- ચારે તરફ પાણી ભરાયા : રાતે ગરબો વળાવવા, રમતો મૂકવા આવતા ભક્તો પાણી ખૂંદી જવા મજબૂર
કપડવંજ તાલુકામાં રૂા. ૧૮.૮૦ કરોડના ખર્ચે એલ.જી. ચૌધરીના નામે ૨૦૨૨માં ટેન્ડર પ્રક્રિયાથી તૈયબપુરાથી ઝેર તરફના આરસીસી રોડનું કામ ગોકળગતિએ ચાલતા હજૂ સુધી પૂર્ણ થયું નથી. ત્યારે ઘડિયા ગામમાં નવરાત્રિ દરમિયાન વહાણવટી માતાજીનો પરંપરાગત મેળો પૂરી આસ્થા સાથે રાતના સમયે ભરાય છે. મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો પોતાની શ્રદ્ધા પૂર્ણ કરવા આવે છે. ત્યારે મેળો શરૂ થવાનો હોવાથી એલ.જી. ચૌધરીના કોન્ટ્રાક્ટર દ્વારા અણઘડ રીતે તાબડતોબ આરસીસી રોડ બનાવી દેવાયો છે. દરમિયાન રોડની ચારેતરફ પાણી ભરાતા ગ્રામજનો કે ભક્તો મેળાના સ્થળ સુધી રાતે ગંદા પાણી ખૂંદીને જવા મજબૂર બન્યા છે. રોડ ઊંચો બનાવાતા રાહદારીઓ, વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય છે. આ અંગે સોશિયલ મીડિયામાં ફોટા- વીડિયો પણ વાઈરલ થયા છે. ત્યારે અકસ્માતની કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો સાથે હાલાકી ભોગવી રહેલા ગ્રામજનો આક્રોશ ઠાલવી રહ્યા છે.