Gujarat

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ

By GS TEAM
3 Jan 20262 mins read
વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ

મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો પોરબંદરના PSI ના વારસદારોએ ક્લેઈમ કર્યો'તો : રકમનું વાર્ષિક 8 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે

પોરબંદર, : પોરબંદરના તત્કાલીન પી.એસ.આઈ. સેમિનારમાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે કુતિયાણા પાસે અકસ્માત સર્જાયો તેમાં પી.એસ.આઈ.નું મોત થયું હતું. જેમાં તેના પરિવરાજનોએ કલેઈમ કરતા મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રાબ્યુનલે ઐતિહાસિક ચુકાદો આપીને મૃતકના વારસદારોને એક કરોડ એકતાલીસ લાખથી વધુની રકમ ચુકવવા હુકમ કર્યો છે.

 પોરબંદર જિલ્લામાં પી.એસ.આઈ. તરીકે જેસીંગ જેઠાભાઈ જોગદીયા ફરજ ઉપર હતા ત્યારે ફરજની રૂએ ગાંધીનગર સેમીનાર હોય જેમાં ભાગ લેવા પોરબંદરથી ગાંધીનગર પોલીસખાતાની સરકારી બોલેરો લઈને ગયા હતા. સેમીનારમાંથી ભાગ લઈ પરત પોરબંદર આવતા હતા ત્યારે તા. 6-11-2022ના સવારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ઉપર  રોઘડા ગામ પાસે બોલેરો કારના ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પુલ સાથે અથડાતા તેમાં બેઠેલા પી.એસ.આઈ. જે.જે. જોગદીયા તથા બોલેરો કારના ચાલકને ઈજા થઇ હતી. જે.જે. જોગદીયાને ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા  ફરજ પરના ડોકટરોએ  તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.

ગુજરનારના વારસદારો દ્વારા  પોરબંદરની મોટર એક્સીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં બોલેરો કારના ચાલક, બોલેરો કારના માલિક ડી.જી.પી. એન્ડ આઈ.જી.પી. ગાંધીનગર, બોલેરો કારની વીમા કંપની ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની આ તમામ સામે કલેઈમ અરજી દાખલ કરી હતી. 

બન્ને પક્ષ તરફથી રજૂ  થયેલી  દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઈ  ટ્રીબ્યુનલ જજ પી.સી. જોષી દ્વારા મૃતક પીએસઆઇ   જે.જે. જોગદીયાના વારસદારોને રૂપિયા 1,41,57,130  તેની  ઉપર વાર્ષિક આઠ ટકા વ્યાજ સાથે ચુકવવા માટે સામાવાળા બોલેરો કારના ચાલક, બોલેરો કારના માલિક ડી.જી.પી. એન્ડ આઈ.જી.પી. ગાંધીનગરને હુકમ કરતો ચુકાદો આપેલ છે.