દ્વારકામાં ભીમ અગિયારસે શ્રીજીના દર્શન તથા ગોમતી સ્નાન માટે ભાવિકો ઉમટયા
તંત્રની મનમાની ન ચાલી, શ્રધ્ધાળુઓને ગોમતી ઘાટે સ્નાન માટે છૂટ અપાઇ : ગોમતી ઘાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેસ્ક્યૂ ટીમના જવાનો તૈનાત
દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં આજે ભીમ અગિયારસના દિવસે હજારો ભાવિકોએ કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા. તથા ગોમતી નદીમા સ્નાન કર્યું હતું. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી ગોમતી ઘાટ ઉપર ભાવિકોને સ્નાન કરવા ન જવા દેવાનો તંત્ર દ્વારા ઉતાવળે કરાયેલો નિર્ણય પાછો ખેંચવો પડયો હતો. ગોમતી ઘાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેસ્ક્યુ ટીમના જવાનો તૈનાત કરી ભક્તોને ગોમતી સ્નાન કરવા માટે છૂટ આપી હતી.
દ્વારકાની ગોમતી નદીમાં છેલ્લા 15 દિવસમાં ડૂબવાના બનાવો વધી ગયેલા હતા. ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા બદલે ઉતાવળો નિર્ણય લઇ ગોમતીઘાટ ઉપર અવર-જવર તેમજ સ્નાન કરવાનું બંધ કરાવી દીધેલ હતું. તંત્રના ઉતાવળા નિર્ણયથી ગોમતી સ્નાન કરવા આવતા ભક્તોની આસ્થાને ઠેસ પહોચી હતી.આજે ભીમ અગિયારસે દ્વારકા યાત્રાધામ દ્વારકામાં આજે ભીમ અગિયારસના દિવસે હજારો ભાવિકો કાળિયા ઠાકોરના દર્શનાર્થે તથા ગોમતી નદીમાં સ્નાન માટે ઉમટયા હતા. ત્યારે ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી તંત્રને ઉતાવળે કરાયેલો નિર્ણય પાછો ખેંચવો પડયો હતો. ગોમતી ઘાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેસ્ક્યૂ ટીમના જવાનો તૈનાત કરી ભક્તોને ગોમતી સ્નાન કરવા માટે છૂટ અપાઇ હતી.
ભક્તોએ ગોમતી ઘાટના પગથિયાં ઉપર બેસી તેમજ ધાટથી અંદાજિત પાંચેક ફૂટ દૂર જઇ ગોમતી સ્નાનનો લાભ લીધો હતો. હજારો ભાવિકોએ આજે અગિયારસના પવિત્ર ગોમતી સ્નાન કર્યું હતું. ઘાટ ઉપર માનવ મેદની ઉમટી પડી હતી. હજારો ભાવિકોએ એકાદશીના ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મોક્ષ દ્વાર તેમજ સ્વર્ગ દ્વારે ઠાકોરજીના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.