Get The App

'હવે જો માફી માંગુ તો ડાયરા મૂકી દઈશ...', બ્રિજરાજદાન ગઢવીના કટાક્ષ પર દેવાયત ખવડનો પ્રહાર

Updated: Jan 7th, 2025

GS TEAM

Google News
Google News
'હવે જો માફી માંગુ તો ડાયરા મૂકી દઈશ...', બ્રિજરાજદાન ગઢવીના કટાક્ષ પર દેવાયત ખવડનો પ્રહાર 1 - image

Devayat Khavad Controversy: ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરુ થયો છે. અગાઉ બંને વચ્ચેનું વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરુ થયું છે. જેમાં દેવાયત ખવડે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, 'હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ.'

ક્યાંથી શરુ થયો વિવાદ? 

પહેલી જાન્યુઆરીના દિવસે બ્રિજરાજ દાન ગઢવીના ડાયરાનું આયોજન હતું. જેમાં તેઓએ દેવાયત ખવડનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું હતું કે, 'સાગર હમણાં કહેતો હતો કે, 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે.' જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું. કારણકે, દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે, 2025થી હું સિલેક્ટેડ ડાયરા કરીશ. 

આ પણ વાંચોઃ ગુજરાતને મળ્યા 37 નવા DySP, 25 પુરુષ અને 12 મહિલા અધિકારીઓને પોસ્ટિંગ આપ્યા

હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશઃ દેવાયત ખવડ

ત્યારબાદ હવે બ્રિજરાજ દાન ગઢવીને દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો છે. દેવાયત ખવડે પોતાના ડાયરામાં પ્રહાર કરતાં કહ્યું કે, '2022માં મેં નિવેદન આપ્યું હતું કે, 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતાં યાર. તમે મને પૈસા આપ્યા છે કલાકાર તરીકે, તમે મને ડાયલોગબાજી તો કરવા બોલાવ્યો નથી. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા, એમને તો માનો મલાજો રાખતા પણ ન આવડ્યું, ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઊભો હતો એટલે માફી માંગી હતી. અને જો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસથી ડાયરા મૂકી દઈશ.'

દેવાયત ખવડનો વળતો પ્રહાર

આ સિવાય દેવાયત ખવડે ઉમેર્યું કે, 'ઘણાં મને કહે છે કે, મૌન રહેવું. ત્યારે હું કહું છું કે, મૌન રહીને ડાયરા મૂકવા કરતાં મને લડીને ડાયરા મૂકવા દો. હવે હું વટથી કહું છું કે, શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું છે. પહેલાં એવું હતું કે, સિલેક્ટેડ ડાયરા કરવા છે. પણ આમને એવું લાગ્યું કે, મેદાન ખાલી છે તો દેવાયત એમ થોડી ચોકા-છક્કા મારવા દે યાર.'

આ પણ વાંચોઃ પાટીદાર યુવતી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપના જ પૂર્વ સાંસદ મેદાનમાં, મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જાણો શું કરી અપીલ

બે વર્ષ પહેલાં કેમ થયો હતો વિવાદ?

નોંધનીય છે કે, બે વર્ષ પહેલાં 2022માં રૂપલમાં જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા. જેમાં કહ્યું હતું કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.” જેનો વળતો પ્રહાર કરતાં દેવાયત ખવડે કહ્યું હતું કે, “મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.' ત્યારબાદ સમાજ દ્વારા સોનબાઈના મંદિર ખાતે સમાજ દ્વારા બંને કલાકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો.