વાવને શરુ કરવા રજુઆત છતાં નવા વાડજમાં આવેલી વાવને સતી અહિલ્યા નામ આપી સંતોષ મનાયો
વાવ ઐતિહાસિક હોવાનુ બોર્ડલાગેલુ છે છતાં વાવમાં જવાનો દરવાજો બંધ
અમદાવાદ, બુધવાર,28 મે,2025
અમદાવાદના નવા વાડજ વોર્ડમાં જુના વાડજ સર્કલથી ભીમજીપુરા
સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલી વાવ શરુ કરવા એક વર્ષથી રજુઆત કરાય છે. આમ છતાં વાવ
મુલાકાતીઓ માટે શરુ કરવાના બદલે મ્યુનિ.શાસકોએ આ વાવને સતી અહિલ્યા નામ આપી સંતોષ
માન્યો છે. વાવ ઐતિહાસિક હોવાનુ બોર્ડ લાગેલુ છે પણ વાવમાં જવાનો દરવાજો બંધ રખાયો
છે.
મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીમાં પ્રાચીન સમયની પૌરાણિક
વાવના નામકરણની દરખાસ્ત મંજુર કરાઈ છે.આ વાવને તાળા મારી દેવાયા છે. એક વર્ષથી
વાડજ વિસ્તારમાં ઉત્તર ગુજરાત મહેસાણા સોસાયટી નજીક આવેલી ઐતિહાસિક વાવને શરુ કરવા
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રજુઆત થઈ છે છતાં શાસકોએ માત્ર વાવનુ નામકરણ કરવાનુ
ઉચિત માન્યુ છે.અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો મળેલો છે.ત્યારે આ વાવ
કેટલા વર્ષ જુની છે,તેનો
ઈતિહાસ શુ છે તથા કોના દ્વારા બનાવાયેલી છે એ અંગે મ્યુનિસિપલ તંત્ર પાસે કોઈ વિગત
ઉપલબ્ધ નથી. સ્થાનિક કોર્પોરેટર વિજય પંચાલ દ્વારા આ વાવ માટે ટિકીટ દર રાખીને શરુ
કરવા એક વર્ષ અગાઉ રજુઆત કરાઈ હતી.