Get The App

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન 1 - image

- વર્ષ 2021 થી મુદત પૂરી થઈ હોવા છતાં દુકાનો ખાલી કરાવવામાં પાલિકાના ઠાગાઠૈયા

- મધ્યમ વર્ગ રોજગાર માટે વલખાં મારે છે ત્યારે માલેતુજારો સરકારી મિલકતો પર કબજો જમાવી બેઠા : પાલિકાને લાખો રૂપિયાની આવકનું નુકસાન છતાં પણ કોઈ કાર્યવાહી નહીં

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા હસ્તકની સંતરામ નિલયમ કોમ્પ્લેક્સની દુકાનોનો ભાડાપટ્ટો વર્ષ ૨૦૨૧માં પૂર્ણ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા આ મિલકતોનો કબજો પરત મેવવામાં ઢીલ મૂકવામાં આવી રહી છે. તત્કાલીન નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦માં આ દુકાનો ભાડે આપવામાં આવી હતી, જેની મુદત પૂરી થઈ ગઈ હોવાથી પાલિકાએ ભાડું વસૂલવાનું બંધ કર્યું છે, પરંતુ મિલકત ખાલી કરાવવામાં કોઈ રસ દાખવ્યો નથી. આ સ્થિતિના કારણે પાલિકાને લાખો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે જ્યારે વેપારીઓ ગેરકાયદેસર રીતે સરકારી મિલકતનો ઉપયોગ કરી આથક લાભ મેળવી રહ્યાં છે.

નડિયાદ શહેરમાં આવેલા સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળથી ઉપરના માળ સુધીની તમામ દુકાનો અને ગોડાઉનોનો વહીવટ હાલ રામભરોસે ચાલી રહ્યો છે. પાલિકાના અણઘટ વહીવટ અને બેધારી નીતિના કારણે ૨૦૨૧થી ભાડાપટ્ટો પૂરો થયો હોવા છતાં તંત્રના અધિકારીઓ આ મિલકતો ખાલી કરાવવા કે પુનઃ હરાજી કરવાની તસ્દી લેતા નથી. એક તરફ શહેરનો મધ્યમ વર્ગ ધંધા રોજગાર માટે જગ્યા શોધી રહ્યો છે, ત્યારે બીજી તરફ વગદાર વેપારીઓ સરકારી મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બેઠા છે. તંત્ર દ્વારા નોટિસ આપવા કે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર પ્રકરણમાં પાલિકાની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે ભાડાપટ્ટો પૂર્ણ થતા ટેકનિકલી ભાડું લેવાનું બંધ કરી દેવાયું છે, પરંતુ ભૌતિક કબજો વેપારીઓ પાસે જ રહેવા દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વેપારીઓને તો ઘી-કેળા જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે તેઓ કોઈપણ પ્રકારના ભાડા વગર લાખોની કિંમતની સરકારી મિલકતનો ધંધાકીય ઉપયોગ કરી રહ્યાં છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ તંત્રની કાર્યશૈલીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને સરકારી મિલકતોની જાળવણી કે તેમાંથી આવક ઊભી કરવાના સ્થાને વેપારીઓને છાવરવામાં આવી રહ્યાં હોવાની લોકચર્ચા જાગી છે.

પુનઃ હરાજીથી મનપાની આવક વધશે

શહેરમાં માત્ર સંતરામ નિલયમ જ નહીં, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ સરકારી કોમ્પ્લેક્સમાં આવી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. પાલિકાના ચોપડે ભાડાપટ્ટો પૂર્ણ થઈ ગયો હોવાના રેકોર્ડ ઉપલબ્ધ હોવા છતાં કયા દબાણ હેઠળ અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે તે તપાસનો વિષય છે. જો તંત્ર દ્વારા આ મિલકતો ખાલી કરાવીને પારદર્શક રીતે પુનઃ હરાજી કરવામાં આવે તો પાલિકાની આવકમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે અને બેરોજગાર યુવાનોને પણ ધંધો કરવાની તક મળી શકે તેમ છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં 600 થી વધુ મિલકતો પર અનધિકૃત કબજો

નડિયાદના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી પાલિકાની માલિકીની અંદાજે ૬૦૦થી વધુ દુકાનો અને મિલકતો હાલ વિવાદના ઘેરામાં છે. અનેક સરકારી કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કબજો મેળવવા માટે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. તંત્રની આ ઢીલી નીતિના કારણે કરોડો રૂપિયાની સરકારી મિલકતોનો ખાનગી સ્વાર્થ માટે ઉપયોગ થઈ રહ્યો છે.

ગેરકાયદે રીતે મિલકતોના વેચાણ અને આંતરિક સોદાની ચર્ચાઓ

સરકારી મિલકતોમાં ભાડાપટ્ટો પૂર્ણ થયા બાદ પણ અનેક વેપારીઓએ અંદરોઅંદર મોટી રકમ લઈને દુકાનોના વેચાણ કરી દીધા હોવાની ગંભીર ચર્ચાઓ વેગ પકડી રહી છે. જો તંત્ર દ્વારા શહેરમાં આવેલી તમામ સરકારી મિલકતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મિલકત હડપ કરી જવાના અને ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારોના મોટા કૌભાંડો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.