Gujarat

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી

By GS TEAM
1 Apr 20262 mins read
સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી

મનપાએ એક વર્ષમાં ૨૮.૮૩ કરોડનો વેરો વસૂલ્યો

ઝુંબેશને પગલે, સામાન્ય રીતે થતી માસિક રૃ.૨ થી ૨.૫ કરોડની આવકની સરખામણીએ માર્ચમાં વધીને રૃ.૭.૨૨ કરોડ થઇ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરમાં મનપાની વેરા વસૂલાત ઝુંબેશ છતાં ૧૧૫ કરોડની ઉઘરાણી બાકી છે. મનપાની મનપાએ એક વર્ષમાં ૨૮.૮૩ કરોડનો વેરો વસૂલ્યો છે. જોકે, ઝુંબેશને પગલે, સામાન્ય રીતે થતી માસિક રૃ.૨ થી ૨.૫ કરોડની આવકની સરખામણીએ માર્ચમાં વધીને રૃ.૭.૨૨ કરોડ થઇ છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તંત્રની તિજોરી ખાલીખમ જોવા મળી રહી છે. હાલમાં મહાનગરપાલિકાનું કુલ ટેક્સ ભરણું રૃ.૧૪૩ કરોડના આંકડાને પાર કરી ગયું છે. માર્ચ એન્ડિંગમાં નવા બજેટ અને વિકાસકામો માટે ફંડની તાતી જરૃરિયાત હોવાથી હવે પાલિકાએ વિવિધ વિસ્તારોમાં ટેક્સ કલેક્શન સેન્ટરો શરૃ કર્યા છે, પરંતુ સુવિધાઓ વગરની વસૂલાત તંત્ર માટે પડકારજનક બની રહી છે.

સુરેન્દ્રનગર મપનાએ માર્ચ મહિનો નજીક આવતા જ અધિકારીઓએ ૨૧ કર્મચારીઓની ૧૧ જેટલી ટીમો બનાવી મેદાનમાં ઉતારી છે.  દરેક કર્મચારીને દૈનિક રૃ.૨ લાખનો ટેક્સ ઉઘરાવી લાવવાનો કડક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આટલી મોટી ફોજ છતાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં (૩૧ માર્ચ સુધી)માં કુલ રૃ.૨૮.૮૩ કરોડની વસૂલાત થઈ છે, જે બાકી લેણાંની સરખામણીએ ઘણી ઓછી છે. હજુ પણ ૧૧૫ કરોડનો વેરો વસૂલવાનો બાકી છે.

જોકે, મનપાની ઝુંબેશને પગલે સામાન્ય રીતે માસિક રૃ. ૨થી ૨.૫ કરોડની આવકની સરખામણીમાં માર્ચ-૨૦૨૬ના એક જ મહિનામાં અંદાજિત રૃ. ૭.૨૨ કરોડની વસૂલાત થઈ છે. મનપના મ્યુનિસિપલ કમિશનરે વેરાના બાકીદારોને નવા વર્ષમાં વેરો ભરી દેવા જણાવ્યું છે.