Gujarat

ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર

By GS TEAM
5 Sep 20252 mins read
ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર

અમદાવાદ,ગુરુવાર,4 સપ્ટેમબર,2025

અમદાવાદમાં ડ્રેનેજ લાઈન અને કેચપીટ સફાઈ પાછળ રુપિયા ૭૦ કરોડથી વધુની રકમનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.આમ છતાં ભાજપના ગઢ ગણાતા એવા ખાડીયા ઉપરાંત ગોમતીપુર, જમાલપુર તથા શાહપુર અને કુબેરનગર વોર્ડના રહીશો સવારના સમયે પીવાનુ ચોખ્ખુ પાણી મેળવવા વલખાં મારી રહયા છે.સૌથી ખરાબ સ્થિતિ ગોમતીપુર વોર્ડની છે. આ વોર્ડમાં આવેલી અનેક ચાલીઓમાં સવારે વીસ મિનીટ પ્રદૂષિત પાણી આવે છે.સ્થાનિક રહીશોની ફરિયાદનુ કાયમી નિરાકરણ લાવવામાં કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોને કોઈ રસ હોય તેવુ દેખાતુ નથી.

સ્માર્ટ સિટીની દુહાઈ દેતા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો શહેરીજનોને પીવાનુ  ચોખ્ખુ પાણી આપવામા પણ સદતંર નિષ્ફળ પુરવાર થયા છે.આટલા કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવાશે. આટલા કિલોમીટર સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામા આવી કે પછી આટલા કિલોમીટર ડ્રેનેજ લાઈન નાંખવામા આવી તે બધી બાબતો સાથે શહેરીજનોને કોઈ સીધો સંબંધ નથી. શહેરીજનોને સારા રોડ મળે. પીવાનુ ચોખ્ખુ પાણી મળે અને તેમના વિસ્તારમા આવેલી ગટરના પાણી બેક મારી રોડ ઉપર ફરી ના વળે એટલી જ બાબતમા રસ હોય છે.કેમકે આ બાબતો તેમના રોજબરોજના જીવન સાથે સંકળાયેલી છે.ઈન્ડિયા કોલોની વોર્ડમાં આ કારણથી ત્રાસી ગયેલા લોકોએ રોડ ઉપર ચકકાજામ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા.વોર્ડમાં એક વૃક્ષ વાવી કે પછી સફાઈ કરતા ફોટા સોશિયલ મિડીયા ઉપર મુકવાથી લોકોની રોજબરોજની સમસ્યાનુ નિરાકરણ આવી જતુ નથી. એ વાત દરેક પક્ષના કોર્પોરેટરે પણ સમજવાની જરૃર છે.પાંચ મહીના પછી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવશે. એ સમયે પ્રદૂષિત પાણી વોર્ડમા આવતુ હશે તો લોકોને શુ જવાબ આપવો તે રાજકરાણીઓએ વિચારવુ પડશે.કેમકે પ્રદૂષિત પાણી પીને લોકો બિમારીના ભોગ બની રહયા છે.જયારે રાજકારણીઓ ફોટા પડાવવામાં મસ્ત બનેલા છે.

વોર્ડ મુજબ પ્રદૂષિત પાણીના સ્પોટ કયા-કયા?

ગોમતીપુર-નાગપુર વોરાની ચાલી, મગન કુંભારની ચાલી, નગરી મિલ સામે આવેલી સાત ચાલીઓ, સમશેર બાગ, હોજવાળી મસ્જિદનો મહોલ્લો, ડોકટરની ચાલી, સુવા પંખીની ચાલી, સુથારવાડા, મદની મહોલ્લા, મણિયાર વાસ,હાજી ગફુરની ચાલી, શંભુ પટેલની ચાલી, પઠાણની ચાલી,કડીયાની ચાલી, સુંદરનગર,અંસારનગરનો વિસ્તાર

જમાલપુર-લોધવાડ,મોરકસવાડ, સુલેખાના, રાણી રૃપમતી મસ્જિદ પાસેનો વિસ્તાર, જાનસાહેબની ગલી, શાહપુર મિલ કમ્પાઉન્ડ, કુવાવાડ, ગેમા માસ્તરના છાપરાં. ભીસ્તીવાડ, બુખારી મહોલ્લો, ખારુનુ નાળુ , ભીસ્તી ચોક, સોદાગરની નાની અને મોટી પોળ

શાહપુર-બાબુશેઠની ચાલી,બદામી મસ્જિદની ચાલી, રામલાલનો ખાડો, આલમપુરા

કુબેરનગર-ખુમાજીની ચાલી, છારાનગર, વિદ્યાનગર, મોચીવાડા, મેઘાણીનગર છેલ્લુ બસસ્ટેન્ડ

ખાડીયા-રાયપુર ભૂતની આંબલી આસપાસનો વિસ્તાર, તળીયાની પોળ, સારંગપુર દોલતખાના, ઢાળની પોળ

ડ્રેનેજ સંબંધિત કામગીરી  પાછળ કયાં-કેટલો ખર્ચ કરાયો?

કામનુ નામ                     ખર્ચ(કરોડમાં)

-અમરાઈવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન     ૫.૩૬

-ડ્રેનેજ ટ્રંક  મેઈન લાઈન,જમાલપુર     ૨૮.૯૭

-ડ્રેનેજ ટ્રંક મેઈન રીહેબીલીટેશન,ખાડીયા   ૧૨.૫૫

-રાઈઝીંગ ડ્રેનેજલાઈન,ગોમતીપુર       ૪.૧૯

-સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,જમાલપુર      ૨૨.૦૨