Get The App

વડોદરા : રેન બસેરા બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો છતાં ભિક્ષુકો હજુ પણ ફૂટપાથ પર રાતવાસો કરે છે

Updated: Nov 20th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા : રેન બસેરા બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો છતાં ભિક્ષુકો હજુ પણ ફૂટપાથ પર રાતવાસો કરે છે 1 - image

વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

વડોદરા શહેરમાં કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે મજૂરો અને ભિક્ષુકો માટે રહેવાની વ્યવસ્થા કરી છે પરંતુ ભિક્ષુકોને રેન બસેરામાં રાખવામાં આવતા નથી અને આજે પણ ફૂટપાથ ઉપર રહે છે.

વડોદરા શહેરમાં સર્વોચ્ચ અદાલતે વડોદરા શહેરમાં વસ્તીને આધારે રેન બસેરા બનાવવાનો આદેશ કર્યો હતો. જો કે પાલિકાના સુસ્ત શાસકોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતાં આઠ વર્ષ લાગ્યા. શહેરમાં ચાર ઓવરબ્રિજ નીચે તથા અન્ય સ્થળે મળી કુલ આઠ રેન બસેરા બનાવવાનું કામ થઈ રહ્યું હતું. આ દરમ્યાન લાલબાગ ઓવરબ્રિજ નીચે બનેલા રેન બસેરા નું લોકાર્પણ ચાર માસ અગાઉ થયું હતું. નેતાઓએ મોટા ઉપાડે ઉદ્ઘાટન તો કરી દીધું, પરંતુ આજે પણ આ રેન બસેરા બિનઉપયોગી છે.

રૂ. 1.71 કરોડના ખર્ચે બનેલા રેન બસેરા નો ખર્ચ સામાન્ય માણસને પણ શંકા ઉપજાવે એવો છે. સ્થાનિક કાઉન્સિલર બાળું સુર્વે શરૂઆતથી જ રેન બસેરા ના ખર્ચ અને દેખાડા પૂરતા લોકાર્પણ નો વિરોધ કરી રહ્યા છે.

જો કે સત્તાધીશો ના પેટ નું પાણી હાલતું નથી. મહત્વની બાબત એ છે કે, છતી સુવિધાનો ઉપયોગ અણઆવડતને ભેટ ચઢી રહ્યો છે, છતાં સત્તાધીશો નિંદ્રાધિન છે. રેન બસેરા તૈયાર છે પરંતુ ગરીબોને એ જ રેન બસેરા ની સામે સડકો પર આશરો લેવો પડે છે.