ગત 3 વર્ષમાં નારિયેળનું ઉત્પાદન વધવા છતાં ભાવ વિક્રમી સપાટીએ
રાજકોટમાં કોકોનટ ઓઈલનો માલ નહીં મળતા સોદા જ ન પડયા : દેશમાં 2021-22માં 135 લાખ ટન, ઈ.2023-24માં 147 લાખ ટનનું ઉત્પાદન: નારિયેળ તેલના ડબ્બાનો ભાવ અધધ 4350 પહોંચ્યો
રાજકોટ, : ગુજરાતમાં 25 કરોડ સહિત દેશમાં આશરે 2137 કરોડ નટ્સ નારિયેળનું ઉત્પાદન ગત વર્ષમાં નોંધાયુંં છે અને ગત 3 વર્ષના આંકડા જોતા ઉત્પાદન વધ્યું છે પરંતુ, ઉત્પાદનમાં વધારા કરતા સ્થાનિક વપરાશમાં વધારો થવા સાથે આ વર્ષે ઉંચા ભાવનો નવો રેકોર્ડ સર્જાયો છે.
છેલ્લા ગત વર્ષ ઈ.સ. 2023-24ના અપેડાના આંકડા મૂજબ ગુજરાતમાં 169330 ટન સહિત દેશમાં 14707550 (147લાખ ) ટનનું ઉત્પાદન થયું હતું. આ પહેલાના વર્ષ ઈ.2022- 23માં ગુજરાતમાં 1.46 લાખ ટન સહિત દેશમાં 143.81 લાખ ટનનું અને ઈ.સ. 2021-22 માં ગુજરાતમાં 1.47 લાખ ટન સહિત દેશમાં 135લાખ ટનનું ઉત્પાદન હતું. આમ, ત્રણ વર્ષમાં ઉત્પાદન ગુજરાત સહિત દેશમાં વધવા છતાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. નંગ કે નટ્સ મૂજબ ગત વર્ષે ગુજરાતમાં 24.60 કરોડ સહિત દેશમાં 2137 કરોડ નંગનું ઉત્પાદન નોંધાયું હતું. ગુજરાતમાં પ્રતિ હેક્ટરે 9265 અને દેશમાં 9871 નટ્સની ઉપજ નોંધાઈ હતી.
લીલા નારિયેળ જે રૂ।. 30- 40 માં વેચાતા તે રૂ।. 70-8- એ અને કોઈ વેપારી તો સારી ગુણવત્તાનું કહીને રૂ।. 90 વસુલે છે, રાજકોટ જ નહીં પરંતુ, નારિયેળનું સૌથી મોટુ ઉત્પાદક રાજ્ય તમિલનાડુમાં જાઓ તો ત્યાં પણ લીલુ નારિયેળ રૂ।. 70ના ભાવે વેચાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધાર્મિક પ્રસંગોમાં વપરાતા શ્રીફળના ભાવ રૂ।. 35 આસપાસ રહ્યો છે જ્યારે સૌથી વધુ વધારો નારિયેળ તેલ (કોકોનટ ઓઈલ)માં જોવા મળ્યો છે. તેલ કાઢવા માટે સુકા નારિયેળ (શ્રીફળ)નો સપ્લાય ઘટતા તેના ભાવ તેલબજારમાં જથ્થાબંધ પ્રતિ 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।. 4350એ પહોંચી ગયો છે. રાજકોટ તેલબજારના વેપારી સૂત્રોએ જણાવ્યું કે ગત શુક્રવાર સુધી નારિયેળ તેલના ડબ્બાનો ભાવ રૂ।. 4000ની ઉંચી સપાટીએ ટકી રહ્યા બાદ ગત પાંચ દિવસમાં તેમાં વધુ રૂ।. 350નો વધારો થયો હતો અને આજે તો આ ભાવે પણ માલની સપ્લાય નહીં મળતા આજે સોદા જ નથી થયા તેથી આજના ભાવ જાહેર થયા નથી. બે દિવસમાં માલની સપ્લાય થવાની શક્યતા છે અને ત્યારબાદ નવા ભાવ ખુલશે.